અમરેલી : સુકવેલી મચ્છીઓ પર વરસાદે ફેરવ્યું "પાણી", માછીમારોની વળતરની માંગણી

દરિયામાંથી મહામહેનતે પકડેલી અને સુકવવા માટે મુકેલી માછલીઓ વરસાદમાં પલળી જતાં પરિવારનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બન્યું

New Update
અમરેલી : સુકવેલી મચ્છીઓ પર વરસાદે ફેરવ્યું "પાણી", માછીમારોની વળતરની માંગણી

અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદે માછીમારોને મરણતોલ ફટકો માર્યો છે. દરિયામાંથી મહામહેનતે પકડેલી અને સુકવવા માટે મુકેલી માછલીઓ વરસાદમાં પલળી જતાં માછીમારો માટે પરિવારનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બન્યું છે...

Advertisment

અમરેલી જિલ્લામાં સતત 3 દિવસથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જાફરાબાદ, રાજુલા અને પીપાવાવ કોસ્ટલ વિસ્તારમાં અવિરત પણે વરસાદ વરસતો હોવાને કારણે ભારે નુકસાન થયું છે. દરિયા કાંઠે વસતા તમામ માછીમારો સૌથી વધુ બોમ્બે નામની મચ્છી વધુ પકડતા હોય છે. બોમ્બે માછલીઓને કીનારે લાવી તેને સુકવીને મચ્છી માર્કેટમાં વેચવામાં આવતી હોય છે. સતત વરસી રહેલાં વરસાદના કારણે સુકવવા માટે મુકેલી માછલીઓ ભીની થઇ ચુકી છે. જાફરાબાદ, શિયાળબેટ, નવા બંદર, રાજપરા પંથકના માછીમારોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. સરકાર ખેડૂતોને અતિ વૃષ્ટિમાં જે રીતે સહાય આપે છે તેજ રીતે માછીમારો ને પેકેજ આપી મદદ કરે તેવી માંગ ઉઠી છે.

થોડા મહિના પહેલા જ અહીં જાફરાબાદ પંથકમાં તાઉતે વાવાઝોડાએ તબાહી મચાવી હતી. થોડા દિવસો પહેલા જ આ આર્થિક રીતે ભાંગી ગયેલા માછીમારો ઉભા થયા છે ત્યાં ફરી સૂકવેલી માછલીઓ વરસાદના કારણે બગડી જવાના કારણે કરોડો રૂપિયાનું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે. વાવાઝોડા બાદ માંડ માંડ માછીમારો બેઠા થયાં છે ત્યારે વધુ એક આફત આવતાં માછીમારોએ આર્થિક પેકેજની માંગણી કરી છે.

Advertisment