અંકલેશ્વર : "પટેલ"ને મળ્યો "પાટીલ"નો સાથ, જુઓ નિતિન પટેલનું સી.આર.પાટીલે કેમ કર્યું સમર્થન

ડેપ્યુટી સી.એમના નિવેદન હિંદુ સમાજની બહુમતી છે ત્યાં સુધી બધુ સમુસુતરૂ ચાલશે નહિ તો બધુ દફન થઇ જશે.

New Update
અંકલેશ્વર : "પટેલ"ને મળ્યો "પાટીલ"નો સાથ, જુઓ નિતિન પટેલનું સી.આર.પાટીલે કેમ કર્યું સમર્થન

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીમાં ભાજપનો મુખ્ય મુદ્દો હીંદુત્વ હશે તે મહંદઅંશે સ્પષ્ટ થઇ રહયું છે. ડેપ્યુટી સીએમ નિતિન પટેલે ગાંધીનગર ખાતે વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું હિંદુ સમાજની બહુમતી છે ત્યાં સુધી બધુ સમુસુતરૂ ચાલશે નહિ તો બધુ દફન થઇ જશે. ડેપ્યુટી સી.એમના નિવેદનને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સમર્થન આપ્યું છે....

રાજયમાં વિધાનસભાની ચુંટણીમાં ભાજપનો એજન્ડા શું હશે તે બે દિવસમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓના નિવેદન પરથી કયાસ કાઢી શકાય છે. એક દિવસ પહેલાં ડેપ્યુટી સી.એમ. નિતિન પટેલે જણાવ્યું હતું કે, દેશમાં બંધારણ, ધર્મનિરપેક્ષતા અને કાયદો બધું ત્યાં સુધી છે જ્યાં સુધી હિંદુ બહુસંખ્યક છે. હું બધા વિશે વાત નથી કરી રહ્યો. મારે એ પણ સ્પષ્ટ કરી દેવું જોઈએ કે લાખો મુસલમાન દેશભક્ત છે, લાખો ઈસાઈ દેશભક્ત છે. ગુજરાત પોલીસમાં હજારો મુસલમાન છે, તે બધા જ દેશભક્ત છે.

ડેપ્યુટી સીએમ નિતિન પટેલના આ નિવેદનનો કયાંક વિરોધ તો કયાંક સમર્થન જોવા મળી રહયું છે. રવિવારના રોજ ભરૂચ અને અંકલેશ્વરની મુલાકાતે આવેલાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નિતિન પટેલના નિવેદન અંગે પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, તેઓ નિતિન પટેલના નિવેદન સાથે સહમત છે. અફઘાનિસ્તાનની સ્થિતિ જોતાં નિતિન પટેલે અગમચેતીના ભાગરૂપે આ નિવેદન આપ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતને ભાજપ અને સંઘની પ્રયોગશાળા ગણવામાં આવે છે. ભાજપની મોટાભાગની રણનિતિ ગુજરાતમાંથી નકકી થતી હોય છે. આગામી દિવસોમાં વિવિધ રાજયોમાં આવનારી ચુંટણીઓમાં ભાજપ ફરી હીંદુત્વનો માર્ગ અપનાવશે તે નેતાઓના નિવેદન પરથી લાગી રહયું છે. ગુજરાત પહેલાં દેશના સૌથી મોટા રાજય ઉત્તરપ્રદેશમાં ચુંટણી યોજાવાની છે ત્યારે ભાજપે ગુજરાતમા઼થી હીંદુત્વનું કાર્ડ ફેકયું હોવાનું રાજકીય નિષ્ણાંતો માની રહયાં છે.

Latest Stories