ભરૂચ : આખરે સરકારે દબાવ્યું "એકસીલેટર", રસીકરણ અભિયાન વેગવંતુ બનાવાયું
18 થી 44 વર્ષની વય ધરાવતાં લોકો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું છે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેર વચ્ચે દરેક નાગરિકો રસી લે માટે સરકાર ભાર મુકી રહી છે. સોમવારના રોજથી 18 થી 44 વર્ષની વય ધરાવતાં લોકો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું છે. આ વયમર્યાદા ધરાવતાં લોકો રસીકરણ મથક ખાતે જઇ સીધી રસી મુકાવી શકશે. કોરોનાની બીજી લહેરમાં લોકોએ ભારે હેરાનગતિનો સામનો કર્યો હતો. વિશ્વ યોગ દિવસના રોજથી રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવી દેવાયું છે. ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચમાં પણ વિવિધ સ્થળોએ લોકોએ રસી મુકાવી હતી. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિતના પદાધિકારીઓએ વિવિધ કેન્દ્રોની મુલાકાત લીધી હતી.
હવે વાત કરીએ જંબુસરની.. જંબુસરની એસ એન્ડ આઇ સી હાઇસ્કુલ ખાતે પ્રાંત અધિકારી એ.કે. કલસરીયા, ઈનચાર્જ ટી એચ ઓ ઓમકાર દેસાઈ, નગરપાલિકા પ્રમુખ ભાવના રામી, માજી ધારાસભ્ય કિરણ મકવાણા સહિતના મહેમાનોએ રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. અધિકારીઓ તથા પદાધિકારીઓએ નગરજનોને કોઇ પણ જાતનો ભય રાખ્યાં સિવાય રસી લેવા માટે અનુરોધ કર્યો હતો.