ભરૂચ: હાંસોટ સાહોલ ગામના યુવાન ખેડૂતે કરી પાણીમાં ડિઝાઇનર પર્લની ખેતી
હાંસોટના સાહોલ ગામના યુવાનની આધુનિક ખેતી, પાણીમાં ડિઝાઇનર પર્લની ખેતી કરી ઉત્પાદન મેળવ્યું.
ભરૂચ જિલ્લાના છેવાડાના સાહોલ ગામના યુવાન ખેડૂતે પાણીમાં ડિઝાયનર પર્લની ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવ્યું છે. આ આધુનિક ખેતી માટે તળાવ બનાવવામાં આવે છે અને ત્યાર બાદ પર્લની ખેતી કરવામાં આવે છે.
સુરતમાં જન્મેલા નીરવ પટેલે પોતાના વતન ભરૂચના હાંસોટ તાલુકાના સાહોલ ગામમાં ખેતીની જમીનમાં એક્વા ફાર્મિંગ આઠ વર્ષ પહેલા શરૂ કર્યું હતું. શિક્ષણ ક્ષેત્રે ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ 22 વર્ષની ઉંમરથી એક્વા ફાર્મિંગમાં નીરવ પટેલ લાગી ગયા હતા. શરૂઆતમાં એક્વા ફાર્મિંગ ક્ષેત્રે નીરવ પટેલે મત્સ્ય ઉદ્યોગ ચાલુ કર્યો હતો અને ત્યારબાદ છેલ્લા ત્રણ વર્ષ પહેલા એમના મગજમાં વિચાર આવ્યો કે એક્વા ફાર્મિંગમાં કંઈક નવું કરવું જોઈએ.આ વિચારને લઈને નીરવ પટેલે ઇન્ટરનેટ પર એક્વા ફાર્મિંગ માટેના નવા વિકલ્પની શોધખોળ શરૂ કરી હતી. અંતે એમને પર્લ ફાર્મિંગ વિષય પર રસ દાખવ્યો હતો.
પર્લ ફાર્મિંગ બિલકુલ એમના માટે નવો વ્યવસાય હોય જેના માટે એમણે રાજસ્થાનમાં ટ્રેનિંગ લીધી હતી અને સાહોલ ગામમાં ખેતીની જમીનમાં જે તળાવ હતા પર્લ ફાર્મિંગ કરવાનું આયોજન કર્યું. શરૂઆતમાં નીરવ પટેલે 10,000 શીપથી શરૂઆત કરી પછી બીજીવાર બીજા તબક્કામાં 30,000 શીપ થી આગળ વધ્યા અને હાલમાં ત્રીજા તબક્કામાં માટે ૫૦ હજાર શીપનો ટાર્ગેટ રાખીને કામગીરી શરૂ કરવાની વિચારણા કરી રહ્યા છે. એક વખત પર્લ ફાર્મિંગ માં હારવેસ્ટિંગ માટે બાર થી પંદર મહિનાનો સમય લાગે છે. આ વ્યવસાયમાં નીરવ પટેલ ત્રણ માણસો સાથે રાખીને કામ ચલાવે છે. તેઓ હાલમાં ડિઝાઇનિંગ પર્લ માં વધુ રસ દાખવી રહ્યા છે, કારણ કે ભારતમાં ડિઝાઇનિંગ પર્લની માંગ વધુ હોવાથી એની કિંમત સારી મળે છે. મોતી જેવા પર્લ માટે અઢીથી ત્રણ વર્ષની સમયમર્યાદા રહે છે જેના કરતાં ડિઝાઇનર પર્લમાં ૧૨ થી ૧૫ મહિનામાં જ હારવેસ્ટિંગ માટે તૈયાર થઈ જતા હોય છે. આ ડિઝાઇનર પર્લની માર્કેટ વેલ્યુ 500થી 600 રૂપિયા પ્રતિ એક ડિઝાઈનની રહે છે.
શિપ પર શસ્ત્ર ક્રિયા કર્યા બાદ એના અંદર ડિઝાઇન મુકવામાં આવે છે. સમય જતા શિપમાં રહેતા જીવ દ્વારા ચાંદીનું વરખ જેવુ લિક્વિડ છોડવામાં આવે છે જેથી ડિઝાઇનને પડ ચડાવી દે છે અને એનાથી ડિઝાઇનર પર્લ તૈયાર થાય છે. પાણી માં મુકેલા શિપમાં રહેતા જીવ એ પાણીમાં ઊગતી વનસ્પતિ પર જીવન માટે નિર્ભર રહે છે. જે ડિઝાઇનર પર્લ માટેના તૈયાર ફોર્મેટ આવે છે તે ડેન્ટલ પાવડર અને સેલના પાવડરમાંથી નિર્માણ થાય છે. પર્લ ફાર્મિંગની બીજી ખાસિયત એ છે કે એના માટે અલગ તળાવ રાખવું નથી પડતું પરંતુ મચ્છી ઉછેર માટેનું તળાવ જે હોય એમાં પણ શિપ મૂકીને પર્લ ફાર્મિંગ કરી શકાય છે મચ્છીના તળાવમાં પર્લ ફાર્મિંગ કરવાથી ફાયદા એ રહે છે કે મચ્છી ના હલનચલનને કારણે પાણી હલતું રહેવાથી શિપ ને એમના સુધી ખોરાક જલદી પહોંચી જાય છે. આવનાર સમયમાં ભારતના બનેલા ડિઝાઇનર પર્લની માંગ આંતરરાષ્ટ્રીય સ્તરે વધવાની ઘણી સંભાવના દેખાઈ રહી છે ત્યારે ગુજરાતમાં ઘણા યુવાનો, ખેડૂતો આ એકવા ફાર્મિંગના વ્યવસાય તરફ અને ખાસ કરીને પર્લ ફાર્મિંગ તરફ વળ્યા છે.