ભરૂચ : ઉનાળાની શરૂઆતમાં જ નર્મદા નદીના જળની માત્રા ઘટી, સ્થાનિકોમાં ચિંતા...
ખળખળ વહેતી માઁ નર્મદાના જળની માત્રા ઘટી ભરૂચ-અંકલેશ્વર બાજુના કિનારાએથી પાણી ઉતર્યું જળ ઓછું થવાથી સ્થાનિકો માટે ચિંતાનો વિષય
ગુજરાતની જીવાદોરી સમાન માઁ નર્મદા નદીના પવિત્ર જળ રાજ્યના અનેક શહેરો સુધી આજે પહોંચ્યા છે. બારે માસ નર્મદા નદીનું ખળખળ વહેતુ જળ કેટલાય પરિવારોની તરસ છીપાવે છે, તો કેટલાય પરિવારોની રોજીરોટી માટે પણ મદદરૂપ બની છે. પરંતુ ઉનાળાની શરૂઆત સાથે જ નર્મદા નદીમાં જળની માત્રા ઘટવા લાગવાની ઘટનાઓ દર વર્ષે સામે આવતી હોય છે. તેવામાં ખાસ કરીને નર્મદા જિલ્લાથી લઈ ભરૂચ જિલ્લા વચ્ચે વહેતી નર્મદા નદીમાં જળ ઓછાં થયા હોવાની બૂમો ઉઠી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક બન્ને કાંઠે વહેતી નર્મદા નદી હવે ધીમેધીમે તેના કાંઠા છોડતી નજરે પડી રહી છે.
નદીમાં જળની માત્રા ઘટવાના કારણે તેના બન્ને તરફના કાંઠા સુકાવવા લાગ્યા છે. એટલું જ નહીં, નદી વચ્ચેના ભાગમાં રહેલા પથ્થર પણ જળ ઓછા થવાના કારણે હવે મજરે પડી રહ્યા છે. જોકે, નદીમાં ઉનાળાની શરૂઆત વચ્ચે જળ ઓછું થવાની વાત સ્થાનિકો માટે ચિંતા ઉપજાવે તેમ છે, ત્યારે ખાસ કરીને નદીમાં માછીમારી માછીમારો પણ હવે નર્મદા નદીમાં પૂરતા જળવાળા વિસ્તાર શોધી એટલા જ ભાગમાં માછીમારી કરવા મજબૂર થયા છે. ભૂતકાળમાં પણ અનેકવાર નર્મદા નદીના જળ સુકાયાની ઘટના સર્જાય ચુકી છે. ભરૂચના પૂર્વપટ્ટીના વિસ્તારોમાં તો નદી પાર કરવા માટે કેટલાક વાહનો પણ ફરતા થયા હતા. જોકે, આ વર્ષે નર્મદાની સ્થિતી સારી છે, પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવે ધીમેધીમે નદી તેનો કાંઠા વિસ્તાર છોડતી હોય તેવું નજરે પડી રહ્યું છે.