અંકલેશ્વરથી ભરૂચને જોડતા ગડખોલ ઓવરબ્રિજ પર મોટા ખાડા પડતા સળિયા પણ બહાર નજરે પડી રહ્યા છે ત્યારે માર્ગનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
અંકલેશ્વરમાં ચોમાસામાં વરસેલા ભારે વરસાદના કારણે વિવિધ માર્ગો બીમાર બન્યા છે તો અનેક ઓવરબ્રિજ પર પણ ખાડા પડી ગયા છે.અંકલેશ્વરના ઓ.એન.જી.સી. ઓવરબ્રીજ બાદ હવે ગડખોલ ઓવરબ્રિજ પર પણ મસમોટા ખાડા નજરે પડી રહ્યા છે અંકલેશ્વરથી ભરૂચને જોડતા સુરવાડી ટી બ્રિજ પર મોટા ખાડા પડ્યા છે અને તેમાંથી સળિયા પણ બહાર આવી ગયા છે જેના કારણે અકસ્માતનો ભય વાહન ચાલકો સેવી રહ્યા છે. આ બ્રિજ પરથી સેંકડો વાહનચાલકો રોજના પસાર થાય છે ત્યારે બ્રિજનો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.આ બ્રિજનું વર્ષ 2021માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરવાડી રેલવે ફાટક પર સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિના નિવારણ માટે આ બ્રિજનું નિર્માણ કરાયું હતું ત્યારે બ્રિજ પર મોટા ખાડા પડતા તેનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તે અત્યંત જરૂરી છે