બાળપણમાં જેને પકડવા શૈશવ ભાગતું તે પતંગીયા ઓજલ થયા
ગ્લોબલ વોર્મીંગ-વિજ્ઞાનિકતાની આડઅસરનો ભોગ બન્યા નિર્દોષ
ફૂલો પરના પરાગરજને આરોગતા પતંગિયાઓ ક્યાં ગુમ થઇ ગયા
કલા શૈલીમાં પતંગિયાઓને ઉજાગર કરવું હવે માત્ર કલ્પના બની
માનવ આધુનિકતાની આંધળી દોટના શિકાર બન્યા નિર્દોષ જીવ
પ્રકૃતિના શૃંગાર રસમાં ક્યાંક હવે ખૂટતું હોય તો તે છે રંગબેરંગી પતંગીયાઓની ઉડાઉડ..! ગ્લોબલ વોર્મીંગ અને વિજ્ઞાનિકતાની આડઅસરનો ભોગ આ નિર્દોષ જીવો બની ગયા છે. કૃષિ ક્ષેત્ર હોય કે, બાગાયત ક્ષેત્ર જ્યાં જોઈએ ત્યાં ઉત્પાદકતામાં વધારો કરવાની ઘેલછાએ માઝા મૂકી છે, ત્યારે પતંગિયાઓની પ્રજાતિ ભૂતકાળ બની રહી છે.
આપણી જીવનશૈલીમાં પણ ભૌતિકતા વધી અને તેના પગલે પર્યાવરણ દુષિત થયું આબોહવા બગડી રહી છે, ત્યારે ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય અને તેમાં શૃંગાર રસનો ઉમેરો કરતા પતંગિયાની પ્રજાતિ હવે લુપ્ત થતી જોવા મળી રહી છે. સામાન્ય રીતે નિર્દોષ અને અબોલ એવી પતંગિયાઓની પ્રજાતિની લુપ્તતા પાછળ કેવળ દુષિત થયેલ આબોહવા અને કૃષિમાં જંતુનાશક દવાઓના છંટકાવનો અતિરેક જવાબદાર પરિબળ તરીકે ઉભરીને આવી રહ્યું છે.
ખેતર હોય, બાગ-બગીચાઓ હોય કે. વન-વગડાની લીલોતરીઓ હોય ત્યાં પતંગિયાઓની ઉડાઉડ જોવા મળતી હોય છે. પરંતુ કાળક્રમે આ તેની સુંદરતાની પાંખોને હવે સમેટી અલિપ્ત થઇ રહ્યું છે. એક સમય હતો જ્યારે બાળપણ પતંગિયાની ઉડાઉડને પકડવા ભાગતું હતું. પરંતુ ભૌતિકતાની આંધળી દોટે બાળપણની નિખાલસ મસ્તીનો એ સાથી હવે લુપ્ત થઇ રહ્યો છે.
કોઈ ચિત્રકાર કે, કોઈ કવિ કદાચ તેની કલા શૈલીમાં પતંગિયાને ઉજાગર કરે પરંતુ તે તેમની કલ્પના માત્ર બની ગઈ છે. કેમ કે, વાસ્તવમાં પતંગિયાઓની પ્રજાતિ ભૂતકાળ બની રહી છે. ખુદ માનવજાત ગ્લોબલ વોર્મિંગની આડઅસરનો ભોગ બની રહી છે, તો આ તો નાજુક, કુમણા અને અબોલ જીવોની તો શી વિસાત. તે તો કાળા માથાના માનવીની આંધળી દોટના શિકાર બનીને જ રહેવાના છે.