આજરોજ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટ્યું હતું. આ સાથે જ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા પણ સ્તંભેશ્વર મહાદેવના દર્શન અને પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.
જિલ્લા કલેક્ટરે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કર્યા
જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે શ્રવણ માસનો પ્રથમ સોમવાર છે, ત્યારે ગુજરાતના મીની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ખાતે આવેલ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટ્યું હતું. આ મંદિરની વિશેષતા એ છે કે, મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં 2 વખત જળાભિષેક કરવા આવે છે, જે નજારો અલોકિક હોય છે. સમુદ્રમાં ભરતીના સમય પૂર્વે અહી વિશેષ પૂજન થાય છે, અને ત્યાર બાદ ધીમે ધીમે સમુદ્ર શિવજીને પોતાનો આગોશમાં સમાવી લે છે. પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતા, જ્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પણ સહ પરિવાર સાથે સ્તંભેશ્વર મહાદેવના દર્શન અને પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.