-
ભરૂચ તાલુકાના કવિઠા ગામનો બનાવ
-
યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો
-
પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાના સાંસદના આક્ષેપ
-
પોલીસે પી.આઈ.સહિત 3 પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કર્યો
-
યુવાન દારૂના વેપલા સાથે સંકળાયો હતો
ભરૂચ તાલુકાના કવિઠા ગામે યુવાને પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હોવાના સાંસદના આક્ષેપ બાદ ખળભળાટ મચી જવા પામ્યો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ અને ધારાસભ્યએ પહોંચી પરિવારજનોની મુલાકાત કરી હતી.તો આ તરફ પોલીસે નબીપુર પોલીસ મથકના પી.આઇ. સહિત ત્રણ પોલીસ કર્મીઓ સામે આત્મહત્યા માટે દુષપ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે
ભરૂચ તાલુકાના કવિઠા ગામ ખાતે રહેતા યુવાન કીર્તન વસાવાએ ઝેરી દવા ગટગટાવીબાપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.આ બધા જ વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ યુવાનની સ્યુસાઇડ નોટ સાથે કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે નબીપુર પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો છે ત્યારે સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની માંગ સાંસદ મનસુખ વસાવાએ કરી હતી.સ્યુસાઈ નોટમાં યુવાને નબીપુર પોલીસ દારૂના કેસમાં ખોટી રીતે હેરાન કરતી હોવાથી તે આ પગલું ભરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો
આ તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલ પર પરિવારજનોના ટોળા ભેગા થઈ ગયા હતા ત્યારે સાંસદ મનસુખ વસાવા તેમજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.આ અંગે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે એક મહિના પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.પરમાર વિરુદ્ધ કરેલી રજૂઆત ધ્યાને ન લેવાતા આજે ગંભીર પરિણામ સામે આવ્યું છે ત્યારે આવા પોલીસકર્મીઓ સામે કડક પગલાં ભરાવા જોઈએ તો વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ જણાવ્યું હતું કે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ કર્મીઓને ડિસમિસ નહીં કરાય ત્યાં સુધી આ મામલો પડતો નહીં મુકાય.
મામલાની ગંભીરતા સમજી ડીવાયએસપી સી.કે.પટેલ સહિતનો પોલીસ કાફલો પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો.આ મામલામાં પોલીસે આખરે નબીપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. કે.પરમાર પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને સંદીપ સામે આત્મહત્યા માટે દૂષપ્રેરણા તેમજ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે.આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આત્મહત્યા કરનાર કીર્તન વસાવા ભૂતકાળમાં દારૂના કેસમાં પકડાયો હતો. પોલીસે કીર્તનની કાર જમા કરી હતી જે છૂટતી ન હોવાના કારણે તે તણાવમાં હતો ત્યારે આ મામલે હવે પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે.