ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં તુલસીધામથી GNFC તરફ જતો માર્ગ અત્યંત બિસ્માર બનતા સ્થાનિકો સહિતના રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
ભરૂચ શહેર તથા જિલ્લામાં દર ચોમાસામાં વરસાદના કારણે માર્ગો ધોવાય જતા હોય છે. જેથી માર્ગ પર ખાડા પડવાના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, ત્યારે સામાન્ય વરસાદમાં જ ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામથી GNFC તરફ જતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. જાહેર અને મુખ્ય માર્ગ બિસ્માર બનતા સ્થાનિકો સહિતના રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ, માર્ગ પર પડેલા ખાડામાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ભાજપનો ધ્વજ લગાવી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જ્યાં ગટર લાઇનની કામગીરી દરમ્યાન તુલસીધામથી GNFC તરફ જતાં માર્ગમાં માટી દબાય જતા પાણીના ભરાવાની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.