દિવાળી પર્વમાં ફૂલની માંગમાં વધારો
ફૂલ બજારમાં તેજીથી વેપારીઓને હાશકારો
ગલગોટા અને ગુલાબના ફૂલની માંગ વધી
જીએસટી ઘટાડા બાદ વાહનોની ખરીદીમાં ઉછાળો
તહેવારોની મોસમથી ફૂલના વેપારીઓમાં આનંદ
ભરૂચ શહેરમાં દિવાળી પર્વમાં ફૂલ બજારમાં તેજીનો માહોલ સર્જાયો છે,તો બીજી તરફ જીએસટીના દરમાં ઘટાડા બાદ નવા વાહનોની ખરીદીમાં પણ ઉછાળો આવ્યો હતો.
દિવાળી પૂર્વે કેન્દ્ર સરકારે જી.એસ.ટી.માં ઘટાડો કર્યા બાદ વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક અસર જોવા મળી રહી છે. સામાન્ય ગ્રાહકથી લઈ વેપારીઓ સુધી સૌમાં ખુશીનો માહોલ છવાયો છે. ખાસ કરીને વાહન ક્ષેત્રમાં જી.એસ.ટી. ઘટાડાનો સીધો ફાયદો જોવા મળી રહ્યો છે. નવા વાહનોની ખરીદીમાં નોંધપાત્ર વધારો થતાં ભરૂચના ફૂલ બજારમાં પણ તેજીનો માહોલ છવાયો છે.
ભરૂચ શહેરના મુખ્ય ફૂલ બજારમાં છેલ્લા કેટલાક દિવસોમાં ખરીદદારોની સંખ્યા વધતી જોવા મળી છે. નવા વાહનોની પૂજા, ઘર પ્રવેશ, લગ્ન પ્રસંગો તથા અન્ય ધાર્મિક કાર્યક્રમો માટે ફૂલની માંગ વધતા વેપારીઓને રાહતનો શ્વાસ મળ્યો છે. ફૂલના વેપારીઓ જણાવે છે કે, લાંબા સમયથી ફૂલના વેપારમાં મંદી જેવી પરિસ્થિતિ હતી,પરંતુ તહેવારોની સીઝન શરૂ થવા સાથે અને સરકારના જી.એસ.ટી. ઘટાડાના નિર્ણય બાદ હવે બજારમાં નવી ચેતના પાછી આવી છે.હાલ ફૂલ બજારમાં ગલગોટાના ફૂલ 80થી 100 રૂપિયા પ્રતિ કિલો, ગુલાબ 200થી 250 રૂપિયા પ્રતિ કિલો, મહારાષ્ટ્રના ફૂલ 600 રૂપિયા સુધી અને લીલીના ફૂલ 1200 રૂપિયા પ્રતિ કિલોથી વધુના ભાવે વેચાઈ રહ્યા છે. વેપારીઓ કહે છે કે હાલ માંગ વધવાથી ભાવમાં પણ થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે, છતાં ગ્રાહકો ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે.