આજે તા. 1 જુલાઈ એટલે રાષ્ટ્રીય તબીબ દિવસ અને આંતરરાષ્ટ્રીય CA દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેર ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિના સંયુક્ત ઉપક્રમે આજના દિવસની બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના ખ્યાતનામ તબીબ મધુમિતા મિશ્રા અને CA સાગરમલ પારિકએ શાળામાં ઉપસ્થિત રહી શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓને સંભોધિત કર્યા હતા. ડો. મધુમિતા મિશ્રાએ ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને કેવી રીતે તબીબ બની શકાય અને તબીબનું સમાજમાં શું મહત્વ છે તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તો ભરૂચ જિલ્લાના સૌથી વરિષ્ઠ CA સાગરમલ પારિકએ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને CA કેવી રીતે બની શકાય અને CA બની દેશહિતનું કાર્ય કેવી રીતે કરી શકાય તે વિષય ઉપર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
શાળાના વિદ્યાર્થીઓએ પણ બન્ને તજજ્ઞોને ધ્યાનપૂર્વક સાંભળી પોતાના સવાલોનો યોગ્ય જવાબ મેળવ્યો હતો. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ કનુભાઈ પરમાર, રૂપલબેન જોશી, ભાસ્કર આચાર્ય તથા અનંતા આચાર્ય સહિત ઉપપ્રમુખ સંદીપ શર્મા, ભાસ્કર પટેલ, ભાવેશભાઈ, જય અંબે શાળાના કેમ્પસ ડાયરેક્ટર સુષ્મા ભટ્ટ, આચાર્ય સિમી વાધવા, મેઘના ટંડેલ અને નેન્સી ચોક્સીએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.