આમોદ તાલુકામાં પાવર ગ્રીડ કંપની સામે ઉગ્ર વિરોધ
આમોદ તાલુકાના કેટલાક ખેડૂતો દ્વારા આક્ષેપ કરાયો
પાવર ગ્રીડ કંપનીની મનમાની સામે ખેડૂતોમાં ભારે રોષ
કંપની દ્વારા કોઈપણ મંજૂરી લીધા વિના ખોદકામ કરાયું
પાક નુકશાની સામે વળતર આપવા ખેડૂતો દ્વારા માંગ
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં પાવર ગ્રીડ કંપની દ્વારા કરવામાં આવતી મનમાની સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં પાવર ગ્રીડ કંપની દ્વારા હાલમાં ચાલી રહેલી કામગીરીને લઈ અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે અસંતોષ વર્તાય રહ્યો છે. આમોદ તાલુકાના કેટલાક ગામોમાં પાવર ગ્રીડ કંપની દ્વારા કોઈપણ મંજૂરી લીધા વિના ખેતરોમાં ખોદકામ કરવામાં આવ્યું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, આડેધડ ખોદાણ કરતા ખેડૂતોના મગ, તુવેર, કપાસ સહિતના ઉભા પાકને ભારે નુકશાન પહોચ્યું છે. તો બીજી તરફ, તાજેતરમાં જ વરસેલા વરસાદ બાદ અને કંપનીની બેદરકારીના કારણે ઊભો પાક બરબાદ થઈ ગયો છે. ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે, પાવર ગ્રીડ કંપની દ્વારા આમોદ તાલુકાના કેટલાય ગામોમાં આવી જ રીતે પાકને નુકશાન પહોંચાડવામાં આવ્યું છે.
જોકે, આ અંગે ખેડૂતોએ વાંધો ઉઠાવતા કંપનીના મેનેજર દ્વારા ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યુ હતું. સમગ્ર મામલે ખેડૂતોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. વધુમાં તાત્કાલિક સર્વે કરી પાકમાં થયેલ નુકશાનનું વળતર આપવા અને કંપનીના જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.