ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ નજીકની ઘટના
એસટી. બસ અને ઇકો કાર વચ્ચે સર્જાયો અકસ્માત
ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત
7 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
અકસ્માતે મોત નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ નજીક એસટી. બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા, જ્યારે 7 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ નજીક આજરોજ સવારના સમયે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બિસ્માર માર્ગના પગલે રાજપીપળા ડેપોની એસટી. બસ નં. GJ-18-Z-5676 રોંગ સાઈડ પર આવી રહી હતી, તે દરમિયાન સામેથી આવતી ઇકો કાર નં. GJ-22-P-2238 સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકો કારનો બુકડો બોલી ગયો હતો. ભયંકર અકસ્માતના પગલે કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 7 લોકોને ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતા જ ઘટના સ્થળે લોકો ટોળે વળ્યા હતા, જ્યાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
તો બીજી તરફ, બનાવની જાણ થતાં ઝઘડિયા પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બિસ્માર માર્ગના પગલે લોકોને વાહનો રોંગ સાઈડ પર ચલાવવાની ફરજ પડે છે. જેથી અહીના માર્ગ પર અકસ્માતના અનેક બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે બિસ્માર માર્ગનું વહેલી તકે સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.