-
ગ્રામ્ય કક્ષાએ ચૂંટણીની ચહલપહલ
-
ઉમેદવારીનો અંતિમ દિવસ
-
ચૂંટણી કચેરીઓમાં લાગી ભીડ
-
સરપંચ અને સભ્યોએ નોંધાવી ઉમેદવારી
-
11 જૂન ઉમેદવારી પરત ખેંચવાનો દિવસ
અંકલેશ્વર તાલુકાના 27 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે,ત્યારે ઉમેદવારી ભરવાના અંતિમ દિવસે મામલતદાર કચેરીમાં મેળાવડો જામ્યો હતો.
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં આગામી તારીખ 22 જૂનના રોજ ચૂંટણી યોજાશે,જ્યારે 25 જૂનના રોજ મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે,ત્યારે અંકલેશ્વર મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતીરાજની ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો હતો.આજરોજ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ હતો,જેના કારણે ચૂંટણી કચેરીઓમાં ઉમેદવારોનો મેળાવડો જોવા મળ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે જગદીશ પ્રભાત વસાવાએ 10 સભ્યો સાથે ફોર્મ ભર્યું હતું,જ્યારે સંજાલી ગામના સરપંચના ઉમેદવાર અતિકા સફાકત ભૈયાતે 10 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી.વધુમાં કોસમડી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર શારદા પ્રકાશભાઈ વસાવાએ 16 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવીને પોતાની જીતનો દાવો કર્યો હતો.
અંકલેશ્વરના માંડવા ગ્રામ પંચાયતમાં સરપંચ ઉમેદવાર નવીન અર્જુન પટેલે 10 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી.અને ઉછાલી ગામમાં સરપંચ પદ માટે શીતલ જીતેશભાઈ પટેલે 8 સભ્યો સાથે ઉમેદવારી કરી હતી.આ ઉપરાંત જીતાલી ગામમાંથી ઉષા કિરીટભાઈ વસાવાએ 10 સભ્યો સાથે તાલુકા પંચાયત ખાતે ફોર્મ ભર્યું હતું.તો દઢાલ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે સુકા ગંભીર વસાવાએ 10 સભ્યો, અને માટીએડ ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ ઉમેદવાર માટે પંકજ ફતેસિંહ પરમારે 5 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે 11 જૂને ઉમેદવારી પરત ખેંચાયા બાદ કયા ઉમેદવાર મેદાનમાં છે તે ચિત્ર સ્પષ્ટ થશે.