ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકાના તમામ રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી કરાવવા જંબુસર મામલતદાર વી.એ.જરીવાલા દ્વારા અપીલ કરવામાં આવી છે. ઇ-કેવાયસી એટલે રેશનકાર્ડ ધારક કુટુંબના તમામ સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાઈ થવી. તમામ રેશનકાર્ડ ધારકોએ ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું ઇ-કેવાયસી કરી શકે છે, અથવા ગ્રામ્યસ્તરે ઈ-ગ્રામ કેન્દ્રમાં વીસીઈ દ્વારા અથવા શહેરી અને તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીમાં રૂબરૂ જઈને ઈ-કેવાયસી કરી શકાશે.
ઇ-કેવાયસી કરવા રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર અને આધાર નંબરની વિગતો આપવાની રહેશે. તો કોઈ દસ્તાવેજની ઝેરોક્ષ કોપી આપવાની જરૂર નથી, તથા બેન્ક એકાઉન્ટની વિગતો આપવાની નથી. રેશનકાર્ડ ધારકે પોતાની કોઈપણ ખાનગી માહિતી અન્ય ત્રાહિત વ્યક્તિને આપવી નહીં, તેમ જંબુસર મામલતદાર વી.એ.જરીવાલા તથા ઇન્ચાર્જ નાયબ મામલતદાર દર્શના પરમાર અને તમામ એફપીએસ સંચાલકો દ્વારા અપીલ કરવામાં આવી છે.