ભરૂચ શહેર તથા જિલ્લામાં અષાઢી બીજના રોજ યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને જિલ્લા પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં તા. 7 જુલાઈને રવિવારના રોજ અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે, ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી ફુરજા, રવિવારી બજાર, સોની ફળિયુ, લાલબજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. જેમાં ડીવાયએસપી, એ’ ડિવિઝન, બી’ ડિવિઝન, SOG, LCB, LIB સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છય બનાવ ન બને તે માટે ધાબા પોઇન્ટ સહિત ભરૂચ અને અંકલેશ્વરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ સાથે જ જિલ્લામાંથી અસામાજિક તત્વોને પણ ઝબ્બે કરવામાં આવ્યા છે. ઉપરાંત પોલીસની ટીમ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે.