ભરૂચ જિલ્લામાં બિનઅધિકૃત રીતે રેતીનું વહન કરતાં વાહનોનું ખાણ ખનીજ વિભાગ દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બિનઅધિકૃત રેતીનું વહન કરતાં 10 ટ્રકોને અટક કરી રૂ. 2 કરોડ 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ભુસ્તરશાસ્ત્રી ભરૂચના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ડમ્પરો દ્વારા ખનીજના બિનઅધિકૃત વહન અટકાવવા સારું ખાણ ખનીજની તપાસણી ટીમ ધ્વારા તા. 18 અને 19 ડિસેમ્બર 2024ના રોજ રાત-દિવસ આકસ્મિક વાહન ચેકીંગ કરતાં રાજપારડી, નેત્રંગ, ઝગડીયા, શુકલતીર્થ અને દહેજ રોડ ખાતેથી સાદીરેતી, બ્લેકટ્રેપ તથા કાર્બોશેલ જેવા ખનીજનું બિનઅધિકૃત વહન કરતાં કુલ 10 ટ્રકોને અટક કરી કુલ રૂ. 2 કરોડ અને 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ખાણ ખનીજ વિભાગ-ભરૂચ દ્વારા ખનીજના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ અંગેના 248 કેસ કરી રકમ રૂ. 513.52 લાખની વસુલાત કરવામાં આવી છે. તેમજ ખાણખનીજ વિભાગને મળતી રજૂઆતો અન્વયે સ્થળ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું ખાણ ખનીજ વિભાગ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.