-
વાગરાના વેંગણી ગામમાં પાણી માટે આક્રોશ
-
સ્થાનિકો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરાયો
-
ઘટના સ્થળે આવી લોકોને પોલીસે અટકાવ્યા
-
પાણીની સમસ્યાનો અંત લાવવાની માંગ ઉઠી
-
મેં ગામે-ગામ પાણી પહોંચાડ્યું : અરુણસિંહ રણા
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેંગણી ગામમાં છેલ્લા 10 વર્ષથી પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ઘટના સ્થળે પોહોચેલી પોલીસે સ્થાનિકોને અટકાવી આત્મવિલોપનના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. તો બીજી તરફ, આ મામલે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ પણ પોતાનું નિવેદન આપ્યું છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેંગણી ગામમાં પાણીની સમસ્યા 10 વર્ષથી કાયમી બની છે. ગામમાં પાણીની મૂળભૂત સુવિધા ન મળતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગત રાત્રે કેટલાક સ્થાનિકોએ પોતાના શરીર પર ડીઝલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું અને આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ, ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ મામલે તાલુકા પંચાયતના સભ્યો અને ધારાસભ્યને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. સતત રજૂઆતો છતાં તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામની પીડાનો અંત લાવવાનો પ્રયાસ કરતા નથી. જેના કારણે હવે ગ્રામજનોનું સામાજિક ધૈર્ય તૂટી પડ્યું છે. તંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં રોષ વધી રહ્યો છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે, જો તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે. તંત્રની બેદરકારીથી લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
તો બીજી તરફ, સમગ્ર મામલે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ જણાવ્યું હતું કે, "હું જાતિવાદમાં માનતો નથી. દહેજ વિસ્તારમાં એક સમય એમ પણ હતો, જ્યારે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હતું. મેં મારા કાર્યકાળમાં ટેન્કર વ્યવસ્થા બંધ કરાવીને સરકારી યોજના અંતર્ગત ગામે-ગામ પાઇપ લાઇનથી પાણી પહોંચાડવાનું કામ શરૂ કરાવ્યું છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "વેંગણી ગામના લોકોએ મારી પાસે રજૂઆત કરી હતી, અને મેં તેમને યોગ્ય આશ્વાસન આપ્યું હતું. તેમ છતાં જે રીતે પાઇપ લાઇનમાં પંચર કરીને કાયદો હાથમાં લેવામાં આવ્યો તે શરમજનક બાબત છે, અને કાયદેસર કાર્યવાહીનો વિષય હોવાનું પણ ધારાસભ્ય અરુણસિંહ રણાએ જણાવ્યુ હતું.