/connect-gujarat/media/media_files/2025/02/05/e8IDGmmf4Wwq4kPKKnaF.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા, દુમાલા વાઘપુરા ગામે નવરાત્રી ચોક નજીક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા, દુમાલા વાઘપુરા ગામે છેલ્લા ઘણા દિવસોથી ગામમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
પાણીની પાઇપલાઈનમાં ભંગાણ સર્જાતા મુખ્ય માર્ગ પરથી આ પાણી પસાર થાય છે. જેના કારણે આ રસ્તા પરથી અવર-જવર કરતા લોકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દુ.વાઘપુરા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જણાવ્યું હતું કે, આ માર્ગ પરથી પસાર થતા રેતી ભરેલા ભારે વાહનો પસાર થતાં હોવાથી વારંવાર પાણીની પાઇપલાઇનનો ફાટી જતી હોવાનું જણાવ્યું હતું.
આ પાઇપલાઇનની કામગીરી કરવા માટે મુખ્ય માર્ગ બંધ કરવો પડે તેમ હોવાથી જાહેરનામા અન્વયે કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. ત્યારબાદ દુ.વાઘપુરા પંચાયત દ્વારા ઝઘડિયા મામલતદાર, ઝઘડિયા ટીડીઓ તેમજ કલેકટર કચેરીમાં લેખિતમાં આ બાબતે જાણ કરવામાં આવી હતી. હાલ તો પંચાયત દ્વારા તંત્ર પાસે માર્ગ બંધ કરી કામગીરી કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
પરંતુ હાલ પૂરતી આ કામગીરી સ્થગિત રહેતા રસ્તા પર જે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, તેના કારણે ગ્રામજનો અને રાહદારીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ત્યારે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે એવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.