ભરૂચ તાલુકાના કંથારીયા ગામમાં જાકરીયા મસ્જિદ પાસેના ખાડકુવામાં બકરીનું બચ્ચું ગરકાવ થતાં ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોએ રેસક્યું હાથ ધર્યું હતું.
ભરૂચ શહેર તથા જિલ્લામાં ચોમાસા દરમિયાન અનેક સ્થળોએ ભુવા અને મોટા ખાડાઓ પડી જવાના કારણે અનેક લોકો સહિત પશુઓ પણ તેમાં ખાબકતા હોય છે, ત્યારે ભરૂચ તાલુકાના કંથારીયા ગામમાં આવેલી જાકરીયા મસ્જિદ પાસે એક ખાડકુવામાં બકરીનું બચ્ચું ખાબકયું હતું. જોકે, ખાડકુવામાં બકરીના બચ્ચાનો અવાજ આવતા જ આસપાસ સ્થાનિકોએ તેને બહાર કાઢવા જહેમત ઉઠાવી હતી.
પરતું તે બહાર નીકળે તેમ ન હોય, જેથી આ અંગે ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરોને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં રેસ્ક્યુ કામગીરી હાથ ધરી બકરીના બચ્ચાને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.