ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા શ્રાવણ માસના પ્રથમ શનિવાર નિમિત્તે ઝઘડિયાના ગુમાનદેવ તીર્થ ક્ષેત્ર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં 400થી વધુ પદયાત્રીઓ જોડાયા હતા.
પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો સંકટ મોચન હનુમાન દાદાની ભક્તિમાં લીન બને છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા શ્રાવણ માસના પ્રથમ શનિવાર નિમિત્તે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એશિયન પેઇન્ટસ ચોકડી સ્થિત ભીડભંજન હનુમાન મંદિર ખાતેથી ડી.જે.ના નાદ સાથે આ પદયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. જેમાં પદયાત્રીઓ ઝઘડિયાના સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ગુમાનદેવ ખાતે જવા રવાના થયા હતા.
આ પદયાત્રામાં ભરૂચ અને અંકલેશ્વરના મળીને 400થી વધુ પદયાત્રીઓ જોડાયા હતા. શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા પ્રતિવર્ષ ગુમાનદેવ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. શ્રી શ્યામ મિત્ર મંડળના આગેવાન કે.આર.જોષીએ જણાવ્યું હતું કે, વર્ષ 1990થી શ્રી શ્યામ મિત્ર મંડળ કાર્યરત છે. તેમજ ધાર્મિક કર્યો, ધાર્મિક સેવા અને મેડિકલ કેમ્પ સહિતના સેવાકાર્યો આ મંડળની ઓળખ છે. દર વર્ષે ગુમાનદેવ દાદાના દર્શન માટે શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા પદયાત્રાનું અનોખું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે શ્રી શ્યામ મિત્ર મંડળના આગેવાન કે.આર.જોષી, શિવ ભગવાન શર્મા, બજરંગ સારસ્વત, વિરેન્દ્ર શેખાવત, જય ભગવાન ભલારા, પવન સ્વામી અને રાજેશ શર્મા સહિત મોટી સંખ્યામાં શ્રી શ્યામ મિત્ર મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.