બોટાદ ઝેરી દારૂ કાંડ મામલો, 17 લોકોના જજ સમક્ષ 164 મુજબ લેવાયા નિવેદન
રાજ્ય સરકારે મામલો થાળે પાડવા માટે બે જિલ્લા એસપીની બદલી કરી દીધી હતી અને ડીવાયએસપી સહિતના અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.
અમદાવાદ અને બોટાદ જિલ્લાની હદમાં ઝેરી દારૂ પીધા બાદ અનેક લોકોના મોત થયા હતા અને અનેક લોકોએ આંખો ગુમાવી, લીવર સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેવામાં 50થી વધુ લોકોના જીવ ગયા છે ત્યારે અનેક લોકો હજુ પણ સારવારમાં છે. રાજ્ય સરકારે મામલો થાળે પાડવા માટે બે જિલ્લા એસપીની બદલી કરી દીધી હતી અને ડીવાયએસપી સહિતના અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.
સરકારના ગૃહ વિભાગે કાર્યવાહી તો કરી પરંતુ ગુનેગાર પર કાર્યવાહી કરવા માટે એસપી નિર્લિપ્ત રાયને તપાસ સોંપી હતી. એસપીએ તપાસ હાથ ધરતાં જિલ્લામાં શંકાસ્પદ ભૂમિકા ભજવનાર પોલીસ પણ અવઢવમાં મુકાઈ ગઇ હતી. તપાસ ટીમે 17 લોકોના જજ સમક્ષ 164 મુજબ નિવેદન લીધા હતા અને મુખ્ય આરોપી જયેશ ઉર્ફે રાજુ ની કબૂલાત પણ જજ સમક્ષ લીધી હતી. આ કેસમાં ભોગ બનનારને તપાસ ટીમ મળી હતી અને તેમના નિવેદન સાથે તેમની તમામ રજૂઆત પણ સાંભળી હતી.
જિલ્લામાં શંકાસ્પદ કામ કરનાર પોલીસની એક યાદી બનાવી છે અને તે ક્યા અધિકારીના નજીક છે તે અંગે પણ રિપોર્ટ સરકારમાં કરવાની તૈયારી કરાઈ હોવાની ચર્ચા છે અને આવનાર સમયમાં આ તમામ પોલીસકર્મીઓ પર પગલાં લેવાઈ શકે તેમ છે તો બીજીબાજુ લઠ્ઠાકાંડમાં પકડાયેલા મુખ્ય આરોપી,
અન્ય આરોપીઓને સીઆરપીસી કલમ 164 મુજબ નિવેદન નોંધવામાં કાર્યવાહી ધંધુકા કોર્ટે હાથ ધરી છે. સોમવારે 17 આરોપીએ નિવેદનો આપ્યા હતા. કલમ 164 મુજબ કોર્ટ સમક્ષનું નિવેદન મહત્વનું છે. કેસની ટ્રાયલ સમયે જો આરોપી હોસ્ટાઈલ થાય તો તેમની વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી કરી શકે છે.નિર્લિપ્ત રાય અત્યારે ધંધુકામાં છે સમગ્ર તપાસનું સુપરવિઝન કરી રહ્યા છે .