Connect Gujarat
ગુજરાત

ડાંગ : તા. 1લી મે "ગુજરાત સ્થાપના દિવસ", વાંચો ડાંગ સાથેના ગુજરાતની ચળવળની ઝાંખી...

દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે આ મહામૂલી આઝાદી અને સ્વતંત્રતા અપાવનારા અનેક નામી-અનામી કાર્યકરો

ડાંગ : તા. 1લી મે ગુજરાત સ્થાપના દિવસ, વાંચો ડાંગ સાથેના ગુજરાતની ચળવળની ઝાંખી...
X

દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે આ મહામૂલી આઝાદી અને સ્વતંત્રતા અપાવનારા અનેક નામી-અનામી કાર્યકરો, કર્મઠ આગેવાનો, રાષ્ટ્રપ્રેમીઓના યોગદાન અને તેમણે કરેલા કાર્યોથી, આજની નવી પેઢીને વાકેફ કરી શકાય તેવા સ્તુત્ય પ્રયાસો સાથે, તા. ૦૧લી મે ગુજરાત સ્થાપના દિવસ નિમેત્તે આ ખાસ અહેવાલ પ્રસ્તુત કરાયો છે. તો આવો જાણીએ દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી છૂટા પડેલા ડાંગ સાથેના મહાગુજરાત ચળવળના કેટલાક અંશો, ગુજરાતની અસ્મિતા એવો પહેલ વહેલો શબ્દ પ્રયોગ કરનાર સ્વ. કનૈયાલાલ મુનશીએ, બૃહદ મુંબઈ દ્વિભાષી રાજ્યના વિભાજન સાથે ગુજરાતમા, મહાનગર મુંબઈ પણ જોઈએ, તેવી લાગણી વ્યક્ત કરતા, મહાગુજરાત જનતા પરિષદ સાથેના સૈદ્ધાંતિક વિરોધ બાદ, રાજસ્થાનની સરહદે આબુ અને અહી મહારાષ્ટ્રની સરહદે ડાંગ માટે પણ વિરોધ ખેંચતાણ શરૂ થયાનુ મહાગુજરાતની ચળવળમાં નોંધાયુ છે.

તત્કાલિન કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર-ગુજરાત અને મુંબઈ, એમ ત્રણ હિસ્સાના સમર્થનમા હતી. જેને કારણે મરાઠી ભાષીઓને એવુ લાગતુ હતુ કે, ગુજરાતીઓને કારણે મુંબઇને, મહારાષ્ટ્રમાંથી છીનવી લેવાશે. જેને કારણે ઊભી થયેલી ગેરમાન્યતાને કારણે સંઘર્ષ ઉગ્ર બન્યો હતો. આ બધાની વચ્ચે ડાંગનો પ્રશ્ન પેચિદો બન્યો હતો. ડાંગની પ્રજાની બોલી મરાઠી જેવી હતી. અહીના લોકોની રહેણીકરણી અને પહેરવેશ પણ મહારાષ્ટ્રીયન લોકોને મળતો આવતો હતો. જેને કારણે ભારે ખેંચતાણ વચ્ચે, પહેલા ડાંગ, અને પછી સાપુતારાને ગુજરાત સાથે રાખવા માટે, તે વખતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી, ગુજરાતની અસ્મિતાને અહી સુપેરે લાગુ કરવા માટે લોઢાના ચણા ચાવવા પડ્યા હતા. સને.૧૯૫૬ની મહાગુજરાત ચળવળ અને ડાંગ સાથેના ગુજરાત રાજ્યના સ્વપ્નદૃષ્ટા એવા, ડાંગ સ્વરાજ આશ્રમના નાયક બંધુઓ, તથા તેમના નિષ્ઠાવાન કાર્યકરોની ધારદાર રજૂઆત, અને તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની દિલ્હી ખાતેની શ્રેણીબદ્ધ રૂબરૂ મુલાકાત બાદ, ડાંગ સાથેના ગુજરાતની તા. ૧લી મે ૧૯૬૦ના રોજ સ્થાપના થઈ હોવાની જાહેરાત, આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર ઉપરથી વિધીસર રીતે થઈ, ત્યારે બાર-બાર વર્ષોના સંઘર્ષનો અંત આવ્યો હતો. તે વેળા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાએ ડાંગ નામનુ બાળક, માં ગુર્જરીને ખોળે બેઠું છે, ત્યારે સરકાર, ડાંગને શું ભેટ આપે ? તેવી વાત રજૂ કરી, ત્યારે ડાંગને કર્મભૂમિ બનાવનાર નાયક બંધુઓએ, ડાંગના લોકોને માથે ચઢેલા સરકારી દેવાને માફી આપવા સાથે, તે વખતના ડાંગ ફંડને ડાંગ વિકાસ ફંડના નામે તિજોરીમાં જમા કરી, તેના વ્યાજની આવકમાંથી પણ, ડાંગના વિકાસ કામો હાથ ધરવાની માંગણી કરી હતી. જેનો મુખ્યમંત્રીએ સહર્ષ સ્વિકાર કર્યો હોવાની નોંધ, સ્વ. ઘેલુ નાયકે તેમના મારી સ્મરણયાત્રા નામના પુસ્તકમા કરી છે.

જોકે, દ્વિભાષી મુંબઈ રાજ્યના એક ભાગ તરીકે ગણાતા ડાંગ પ્રદેશ માટે, ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે જે તે વખતે, ભારે ખેંચતાણ થઈ હતી. ડાંગ જિલ્લા લોકલ બોર્ડની ચૂંટણી ઉપર આખી વાત નિર્ભર હતી. ૩૦ બેઠકોની યોજાયેલી ચૂંટણીમાંથી ૨૬ બેઠકો સાથે ગુજરાત તરફી પેનલનો વિજય થયો, અને લોકલ બોર્ડના પ્રથમ પ્રમુખ તરીકે સ્વ. છોટુ નાયકના અધ્યક્ષપદે, ડાંગ પ્રદેશ ગુજરાત સાથે જોડાશે, તેવો ઠરાવ થયો. આ ઠરાવના વિરોધમા ડાંગ જિલ્લા લોકલ બોર્ડના ચાર સભ્યો કે જેઓ ડાંગ પ્રદેશ, મહારાષ્ટ્ર સાથે જોડાય તેમ ઇચ્છતા હતા. તેમણે ઉગ્ર વિરોધ નોંધાવતા સભા ત્યાગ પણ કર્યો હતો. ગુજરાત પેનલમાંથી ચૂંટાયેલા કાર્યકરો પૈકી દસ કાર્યકરો ગુજરાતના હતા, અને સોળ કાર્યકરો સ્થાનિક આદિવાસી કાર્યકરો હતા. જેમને પલટાવવા માટે પણ ખૂબ જ પ્રયત્નો થયા પણ તેઓ જરાપણ ડગ્યા વિના ગુજરાત સાથે જોડાયા. આમ, ડાંગ જિલ્લામા પહેલી વહેલી ચૂંટણી પણ સને. ૧૯૫૭/૫૮મા યોજાઇ હતી. જેમા ગુજરાત તરફી પેનલ ૮૬ ટકા મત (૩૦માંથી ૨૬ બેઠકો) સાથે વિજયી બની હતી. ધીમે ધીમે ભાષાવાદની ભૂતાવણ પણ ભૂંસાતી ગઈ. અંતે ૧લી મે ૧૯૬૦એ આ તમામ ખટપટનો અંત આવ્યો અને ડાંગ નામનુ બાળક, માં ગુર્જરીના ખોળે બેઠું. સાપુતારાનો પણ ડાંગમા સમાવેશ થાય તે માટે શરૂ થયેલી ચળવળ વેળા, બે રાજ્યોના સીમાંકન વખતે, ગુજરાત/મહારાષ્ટ્રની સરહદે જે સ્થળે નવરચિત બન્ને રાજયોના ગવર્નરોએ, સીમાંકનની પ્રક્રિયા હાથ ધરી હતી, એ જગ્યા એટ્લે આજનુ ગવર્નર હિલ તરીકે ઓળખાતુ સ્થાન. સાપના ઉતારા – એટ્લે સાપુતારા. જે જમાનામા ડાંગ પ્રદેશ, અંધારીયા મુલક તરીકે ઓળખાતો તે વેળા, અહીના જંગલોમા ઝેરી સાપોની ભરમાર હતી. આ સરીસૃપોના અહી રાફડા હતા. સાપુતારા લેક તરીકે ઓળખાતા સર્પગંગા તળાવની સામે પાર, નાગેશ્વર મહાદેવ મંદિરની પાછળ, આ સર્પોનુ જુનુ મંદિર-સ્થાનક આવેલુ છે. ત્યારબાદ પ્રવાસીઓના ઉતારા માટે જિલ્લાના લોકલ બોર્ડ દ્વારા તા.૨૪/૦૫/૧૯૬૧ના રોજ પ્રવાસી ગૃહના મકાનના શિલારોપણ સાથે તા.૧૩/૦૨/૧૯૬૪ના રોજ આ પ્રવાસીગૃહના ઉદ્દઘાટન સાથે પ્રવાસીઓ માટે આ સુવિધા ઉપલબ્ધ કરવામા આવી હતી. જે સ્વાગત સર્કલની બાજુમા જમણા હાથે આવેલુ છે. ત્યારબાદ કાળક્રમે ડાંગ, સાપુતારા, અને નવાગામના વિકાસની પ્રવૃતિ પણ હાથ ધરવામા આવી. આજે, પ્રવાસીઓથી બારેમાસ ઉભરાતા સાપુતારાએ, ઐતિહાસિક સંઘર્ષની સાથે અનેક ચડતીપડતી જોઈ છે.

Next Story