Connect Gujarat
ગુજરાત

ધરતીપુત્રોના પ્રશ્નોને હકારાત્મક વાચા આપવા રાજ્ય સરકારનો ખેડૂત હિતલક્ષી નિર્ણય : કૃષિ મંત્રી રાઘવજી પટેલ

જેમાં સહાયપાત્ર વિસ્તારની મર્યાદા લઘુત્તમ 5 હેક્ટરથી ઘટાડીને 2 હેક્ટર કરવામાં આવ્યો છે.

X

ગુજરાત રાજ્યમાં ધરતીપુત્રોના પ્રશ્નોને હકારાત્મક વાચા આપવા માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં સહાયપાત્ર વિસ્તારની મર્યાદા લઘુત્તમ 5 હેક્ટરથી ઘટાડીને 2 હેક્ટર કરવામાં આવ્યો છે. આ સાથે જ ચાલુ વર્ષના બજેટમાં આ યોજના માટે રૂ. 350 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ પણ કરવામાં આવી છે.

ગુજરાત સરકારે ફરી એકવાર રાજ્યના ખેડૂતોના પ્રશ્નોને હકારાત્મક વાચા આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ વિસ્તારોના ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા ‘કાંટાળા તારની વાડ બનાવવાની યોજના‘ની મર્યાદામાં સુધારો કરવા રજૂઆતો મળી હતી. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે તે માટે તેમની રજૂઆતોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. અગાઉ આ યોજના હેઠળ લઘુત્તમ 5 હેક્ટર વિસ્તારમાં તાર ફેન્સિંગ માટે સહાય આપવામાં આવતી હતી, જેમાં હવે વિસ્તારની મર્યાદા ઘટાડીને લઘુત્તમ 2 હેક્ટર નક્કી કરવામાં આવી છે. કૃષિ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ખેતરની ફરતે તાર ફેન્સિંગ કરવાની યોજનાનો રાજ્યના મહત્તમ ખેડૂતો લાભ લઈ શકે તે માટે ચાલુ વર્ષે અંદાજ પત્રમાં આ યોજના માટે રૂ. 350 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યના અંદાજીત 27,700 હેક્ટર વિસ્તાર માટે રનીંગ મીટર દીઠ રૂ. 200 અથવા ખરેખર થનાર ખર્ચના 50 ટકા બન્નેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. આ માટે આગામી સમયમાં આઈ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ લેવામાં આવશે. ઉપરાંત ભૂંડ, રોઝ અને નીલ ગાય જેવા પ્રાણીઓ દ્વારા ખેડૂતોના મહામૂલા પાકને થતાં નુકશાનને અટકાવવા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2005માં ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના અમલમાં મુકી હતી. આ યોજનાને વધુ અસરકારક અને ઉ૫યોગી બનાવવા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે તેમાં ઘણા સુધારાઓ પણ કરવામાં આવ્યા છે, અને આજે વધુ એક નવો સુધારો કરી ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.

Next Story