ગીર સોમનાથ : સોમનાથ મહાદેવના સાનિધ્યમાંથી AAPની પરિવર્તન યાત્રાનો પ્રારંભ...
આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રાનો પ્રારંભ સોમનાથ મહાદેવના દર્શનની સાથે યાત્રાનું પ્રસ્થાન
આમ આદમી પાર્ટી દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનની સાથે ગુજરાતભરમાં પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં પરિવર્તન યાત્રા સોમનાથથી પ્રસ્થાન થઈ વેરાવળ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને આગળ વધી હતી.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી તૈયારીઓમાં લાગી ગઈ છે. સમગ્ર ગુજરાતમાં લોકો સુધી પહોંચવા માટે આજથી આમ આદમી પાર્ટીની 182 બેઠકો પર પરિવર્તન યાત્રા શરૂ થઈ છે. રાજ્યના 6 અલગ અલગ સ્થળોથી આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતના છેવાડાના નાગરિકો સુધી પહોંચવા અને પ્રત્યેક નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા આ પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ ખાતેથી આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરતાં સમય આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈપણ સારું કાર્ય કરતા પહેલા આપણે ભગવાનનું સ્મરણ અને દર્શન કરીએ છીએ, એ જ રીતે ગુજરાતના ભવિષ્યને બદલવા માટે આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રાના પ્રસ્થાન સમયે સોમનાથ મહાદેવના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. સાથે જ ગોપાલ ઇટાલિયાએ અપેક્ષા વ્યક્ત કરી હતી કે, સોમનાથ મહાદેવના આશીર્વાદ અને લોકોના આશીર્વાદ સાથે આમ આદમી પાર્ટી ગાંધીનગર સત્તા સુધી પહોંચશે. પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંઘ માન પણ ગુજરાતમાં પ્રચાર માટે પંજાબ સરકારના 45 લાખ રૂપિયા વાપર્યા હોવાના આરોપને પણ ગોપાલ ઇટાલીયાએ વાહિયાત ગણાવ્યા હતા. આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાનો પ્રારંભે AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, AAP ઉપપ્રમુખ મનીષા ખૂંટ, AAP યુવા પ્રમુખ પ્રવિણ રામ સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.