વેરાવળ પંથકમાં ભારે વરસાદે વેર્યો વિનાશ
ખેડૂતોની મહેનતનું વળતર તાણી ગયો વરસાદ
ખેતરમાં પડેલ મગફળીનો તૈયાર પાક નષ્ટ થયો
10થી વધુ ગામના સેંકડો ખેડૂતોને મોટું નુકશાન
સરકાર દ્વારા સહાય ચૂકવાય તેવી ખેડૂતોની માંગ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પંથકના વરસેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાય ગયો છે. તો પશુધન માટેનો ચારો પણ નષ્ટ થતાં જગતના તાત ચિંતિત બન્યા છે.
સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસતા આ મહેર એક કહેર સમાન બની ગઇ હતી. આ દ્રશ્યો છે, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પંથકના ખેરાળી, દેદા, ચમોડા સહિતના 10 વધુ ગામના. કે, જ્યાં ખેડૂતોએ 4 મહિના મહા મહેનતે તૈયાર કરેલ મગફળીના પાક ઉપર પાછોતરા વરસાદે જાણે પાણી ફેરવી દીધું હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. ધરતીપુત્રોએ પોતાની વેદના ઠાલવતા મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયાનો વસવસો વ્યક્ત કર્યો હતો. આ સાથે જ પશુઓ માટેનો નિરણ ઘાસચારો પણ સડી જતા ખેડૂતો ચિંતીત જોવા મળ્યા હતા, ત્યારે હવે નિષ્ફળ ગયેલા પાકોનું સરકાર દ્વારા સર્વે કરાવી ખેડૂતોને સહાય ચૂકવાય તેવી માંગ ઉઠી છે.