-
ગુજરાત રાજ્યમાં બુધવારનો દિવસ ગોઝારો સાબિત થયો
-
ખેડા નજીક હાઈવે પર કારનું ટાયર ફાટતાં સર્જાયો અકસ્માત
-
અમદાવાદ-વડોદરા હાઈવે પર અકસ્માતમાં 3 લોકોના મોત
-
દાહોદ-તોયણી પાસે બાઈક વચ્ચે અકસ્માતમાં 3 યુવકોના મોત
-
સુરત-કામરેજ નજીક અજાણ્યા વાહનની ટક્કરે શ્રમજીવીનું મોત
ગુજરાત રાજ્યમાં આજે બુધવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. ખેડા જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કારનું ટાયર ફાટી જતાં સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા, જ્યારે દાહોદના તોયણી ગામે 2 બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 3 યુવકો મોતને ભેટ્યા હતા. તો સુરતના કામરેજ નજીક અજાણ્યા વાહનની ટક્કરે શ્રમજીવીનું મોત થયું હતું.
રાજ્યમાં શિયાળાની ઠંડીનો પ્રારંભ થતાંની સાથે જ અકસ્માતોની વણઝાર પણ શરૂ થઈ ગઈ છે. જેમાં અલગ અલગ અકસ્માતોમાં 6થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ખેડા જિલ્લામાંથી પસાર થતાં અને અમદાવાદ-વડોદરાને જોડતા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસે ગત મંગળવારની મોડી રાત્રે બિલોદરા બ્રિજ નજીક ગોઝારા અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ જતી કારનું ટાયર એકાએક ફાટતા કાર ડિવાઈડર કૂદી રોગ સાઈડે ઘૂસી હતી, અને સામેથી આવી રહેલ ટ્રક સાથે અથડાઈ હતી. આ બનાવમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં કારમાં સવાર એક મહિલા સહિત 2 પુરુષોના મોત થયા હતા, જ્યારે 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે એક્સપ્રેસ હાઇવે પર અંદાજીત 15 કિલોમીટર જેટલો ટ્રાફિકજામ થયો હતો. અકસ્માતની જાણ થતાં જ નડિયાદ રૂરલ પોલીસ અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, અને મૃતદેહોને પીએમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે મૃતકોની ઓળખ છતી કરવા પ્રયાસો હાથ ધર્યા હતા. સાથે સાથે ઈજાગ્રસ્ત વ્યક્તિઓના નિવેદન લેવાની કાર્યવાહી આરંભી હતી.
તો બીજી તરફ, અકસ્માતની અન્ય એક ઘટના દાહોદ જિલ્લામાંથી સામે આવી છે. દેવગઢ બારીયા તાલુકાના તોયણી ગામ નજીક પીપલોદ-રણધીકપુર રોડ પર 2 બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક બાઈક પર સવાર 3 યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા એક યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું, જ્યારે અન્ય 2 યુવકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા, જ્યારે બીજી બાઈક પર સવાર 3 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ તરફ, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર કામરેજ સુગર નજીક એક શ્રમજીવી હાઇવે પસાર કરી રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહને આ રાહદારીને અડફેટમાં લીધો હતો. જેને લઇને રાહદારી હાઇવે પર ફંગોળાઈ ગયો હતો, અને શરીરે ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જોકે, અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ સુરત જિલ્લા NHAI વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂરપાટ ઝડપે અને બેફામ વાહન હંકારતા વાહનચાલકો અવાર નવાર આ પ્રકારના અકસ્માતો સર્જી નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે.