-
ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ
-
ઉત્તર,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ
-
ગાજવીજ અને પવન સાથે વરસ્યો વરસાદ
-
ભરૂચના જંબુસરમાં વૃક્ષ થયું ધરાશાયી
-
નવસારીમાં પણ વરસાદ માહોલ જામ્યો
ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.મધરાતે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, નવસારી,વલસાડ,ભરૂચ,નર્મદા સહિતના જિલ્લાઓમાં વરસાદ પડતા અનેક વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે.
ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે,જેમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
પશ્ચિમ રાજસ્થાન અપર એર સાઇકલોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. એ સિવાય ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 મેથી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠામાં 40થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
નર્મદા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મધરાતે ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં અનેક કાચા મકાનોના પતરા ઉડી ગયા હતા. જ્યારે ખેડૂતોના ખેતરોમાં ઉભા કેળના પાકને પણ મોટું નુકસાન થયું છે.
જાણવા મળ્યા મુજબ તારીખ 30મીના રોજ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ જેમ કેબનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહાનગરમાં અલગ-અલગ સ્થળોએ જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જેમ કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના જંબુસરમાં નહાર કાવી રોડ પર એક ઘટાદાર વૃક્ષ ધરાશાયી થયું હતું,જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી,જ્યારે સ્થાનિકોએ રસ્તા પરથી વૃક્ષ હટાવવાની કામગીરી કરી હતી.