જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદ બાદ કાદવ-કીચડ અને ગંદકીના સામ્રાજ્યથી પ્રજા પરેશાન થઈ ઉઠી છે, ત્યારે કોંગ્રેસ પક્ષના આગેવાનોએ વિવિધ વિસ્તારોની લઈ મ્યુનિશિપલ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.
હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો. જેના કારણે પાણીનો ભરાવો અને ગંદકી જોવા મળી રહી હતી, ત્યારે વરસાદના કારણે જુનાગઢ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસર્યા નહોતા. જોકે, ગઈકાલથી વરસાદનું જોર ઘટ્યા બાદ હવે સ્થિતિ નિયંત્રણમાં છે,
કોંગ્રેસ દ્વારા આક્ષેપ
ત્યારે જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં કાદવ-કીચડ, તૂટેલા રસ્તાઓ અને ગંદકી ફેલાઈ છે. પાલિકાના પાપે પ્રજા પરેશાન થઈ છે. તેવામાં કોંગ્રેસ અગ્રણી શહેનાઝ બાબી, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા, પૂર્વ ધારાસભ્ય ભિખાબાપા સહિતના આગેવાનોએ જુનાગઢના વિવિધ વિસ્તારોની લીધી મુલાકાત લીધી હતી. ભારે વરસાદ બાદ જળભરાવ અને ગંદકી ફેલાઈ રહી હોવા છતાં તંત્ર અજાણ હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. શહેરના અંડર બ્રિજમાં હજુ પણ પાણી અને ગંદકીથી રસ્તો બંધ છે, ત્યારે વહીવટી તંત્રની કામગીરી સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં પાલિકા કમિશનરને આ મામલે રજૂઆત કરી લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ પણ કરવામાં આવનાર છે.