New Update
જૂનાગઢમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ફટાકડાના તણખામાંથી કચરાના ઢગલામાં વિકરાળ આગ લાગી હતી,જેના કારણે ધુમાડાના ગોટે ગોટા વાતાવરણમાં ઉડ્યા હતા.
જૂનાગઢમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ફટાકડાની આતશબાજી સાથે દિવાળી પર્વની ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી,જોકે અચાનક ફટાકડા માંથી ઉડેલા તણખા રામનાથ મંદિરની પાછળના ભાગમાં આવેલા કચરાના મોટા ઢગલામાં પડ્યા હતા,અને આગ લાગી ગઈ હતી.
જોતજોતામાં આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું,જેના કારણે સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી,અને સૌના જીવ તાળવે ચોંટ્યા હતા.ઘટનાની જાણ પોલીસ તેમજ ફાયર સ્ટેશનમાં કરવામાં આવી હતી.આગ અંગેનો કોલ મળતાની સાથે જ પોલીસ કાફલો અને ફાયર લાશ્કરો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા,અને પોલીસે લોક ટોળાને દૂર ખસેડ્યા હતા, જ્યારે ફાયર લાશ્કરોએ ત્રણ જેટલા ફાયર ટેન્ડરની મદદથી આગ પર પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ કાબુ મેળવવામાં આવ્યો હતો.
કચરાના ઢગલામાં પ્લાસ્ટિકનો કચરો મોટા પ્રમાણમાં હોવાના કારણે આગ પર કાબૂ મેળવ્યા બાદ પણ ધુમાડા નીકળતા રહ્યા હતા.ઘટનાની ગંભીરતા પારખીને ખુદ ધારાસભ્ય સંજય કોરડીયા પણ દોડી આવ્યા હતા,અને ઘટનાનો ચિતાર મેળવ્યો હતો.પાલિકાતંત્ર દ્વારા કચરાના ઢગલાને સુરક્ષા દીવાલથી કોર્ડન કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકોમાં ઉઠવા પામી હતી.