માળીયાહાટીના ભંડુરી ગામ નજીક વિદ્યાર્થીઓનો વિરોધ
એસટી. બસની અનિયમિતતાના કારણે વિરોધ દર્શાવાયો
વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ થઈ રહી છે મોટી અસર
જુનાગઢ-સોમનાથ નેશનલ હાઈવે પર ચક્કાજામ કરાયો
પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓ દોડી આવ્યા
જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ભંડુરી ગામ નજીક હાઇવે માર્ગ પર વિદ્યાર્થીઓએ એસટી બસની અનિયમિતતાના કારણે ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ભંડુરી ગામ સહિત આસપાસના ગામના અનેક વિદ્યાર્થીઓ વેરાવળ, સુપાસી અને કીડીવાવ સુધી અભ્યાસ અર્થે એસટી. બસ મારફતે અવર જવર કરે છે. જોકે, છેલ્લા ઘણા દિવસોથી અહી એસટી. બસની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. એટલું જ નહીં, સમય કરતા એસટી. બસ મોડી આવતા વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પણ મોટી અસર થઈ રહી છે, ત્યારે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ આખરે રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિદ્યાર્થીઓએ જુનાગઢ-સોમનાથ નેશનલ હાઈવે પર દોડતી એસટી. બસોને થોભાવી ચક્કાજામ કર્યો હતો.
આ તરફ, બનાવની જાણ થતાં જ માળિયા પીઆઇ સહિતનો પોલીસ કાફલો તેમજ કેશોદ એસટી. ડેપોના અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા, જ્યાં વિદ્યાર્થીઓ સાથે અધિકારીઓની ચર્ચા અને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, એસટી. બસ વારંવાર મોડી આવતી હોવાથી વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. છતાં નઘરોળ બની ગયેલા તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ નહીં લાવતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.