કચ્છ : વેપારીના પુત્રનું અપહરણ કરી રૂ. 1.25 કરોડની ખંડણી માંગ્યા બાદ હત્યા, પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો...

19 વર્ષિય યુવકનું રહસ્યમય રીતે અપહરણ થયું હતું. જે બાદ યુવકની માતાને અજ્ઞાત શખ્સે ફોન કરી સવા કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.

કચ્છ : વેપારીના પુત્રનું અપહરણ કરી રૂ. 1.25 કરોડની ખંડણી માંગ્યા બાદ હત્યા, પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો...
New Update

અંજારના યુવકનું રહસ્યમય રીતે થયું હતું અપહરણ

અજ્ઞાત શખ્સે રૂ. 1.25 કરોડની માંગી હતી ખંડણી

ભેદી સંજોગોમાં યુવકનો મૃતદેહ મળતા ચકચાર

સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો

કચ્છ જિલ્લાના અંજારના મેઘપર બોરીચીના 19 વર્ષિય યુવકનું રહસ્યમય રીતે અપહરણ થયું હતું. જે બાદ યુવકની માતાને અજ્ઞાત શખ્સે ફોન કરી સવા કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જોકે, 5 દિવસ બાદ યુવકનો ભેદી સંજોગોમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.

મળતી માહિતી અનુસાર, કચ્છ જિલ્લાના અંજારના મેઘપર બોરીચીમાં આવેલી મંગલમ્ રેસિડેન્સીમાં રહેતો 19 વર્ષનો યશ સંજીવકુમાર તોમર નિત્યક્રમ મુજબ મોપેડ લઈ ઘરેથી કોલેજ જવા નીકળ્યો હતો. જોકે, તે સાંજે સુધી પરત ન આવતા તેની માતાને અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન આવ્યો હતો, અને ફોન કરનારે પોતે યશનું અપહરણ કર્યું હોવાનું જણાવ્યું હતું. જે બાદ યશને છોડાવવા માટે ખંડણીખોરે મુંબઈ આવી સવા કરોડ રૂપિયા આપી જવા જણાવ્યું હતું. ખંડણી માંગતા પૂર્વ કચ્છ પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટના અંગે પૂર્વ કચ્છ પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ સહિત વિવિધ 10 ટુકડીઓએ ગહન તપાસ હાથ ધરી હતી.

યશે અપહરણ થયાના દોઢેક કલાક પહેલા સ્નેપચેટ નામની સોશિયલ નેટવર્કિંગ અને મેસેજીંગ એપ પર બાવળની ઝાડીની 4 સેકન્ડનો વીડિયો ક્લિપ શૅર કરી ‘ફસ ગયા’ તેવો મેસેજ પોસ્ટ કર્યો હતો. આ મેસેજનું લોકેશન ટ્રેસ કરી પોલીસે આદિપુરના પંચમુખી હનુમાન મંદિર પાછળની બાવળની ઝાડીના લાંબા પટ્ટામાં સતત 2 દિવસ સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ દરમિયાન બાવળની ઝાડીમાંથી યશનું એક બૂટ મળી આવ્યું હતું.

નજીકમાં તાજો ખાડો ખોદી કોઈકનો મૃતદેહ દાટી દેવાયો હોવાનું જણાતાં ચકચાર પ્રસરી ગઈ હતી. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, મામલતદાર, નાયબ પોલીસ અધીક્ષક વગેરે અધિકારીઓ પોલીસ કર્મચારીઓના કાફલાએ ખાડો ખોદતાં જે શંકા હતી, તે સાચી ઠરી, જ્યાં જેસીબી દ્વારા ખોદકામ કરાઈ પાંચેક ફૂટ ઊંડા ખાડામાં દાટી દેવાયેલા યશનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર કાર્યવાહીની વીડિયોગ્રાફી કરાવી મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે જામનગર મોકલવા તજવીજ હાથ ધરી હતી. જેમાં યશની હત્યા કેવી રીતે કરવામાં આવી તે ઑટોપ્સીમાં સ્પષ્ટ થશે તેવું પોલીસનું માનવું છે.

#Anjar News #kidnapping #kutchnews #Kutch #Kutch Crime News #ખંડણી #અપહરણ #KutchPolice #gujarat samachar #Kutch Anjar Police
Here are a few more articles:
Read the Next Article