Connect Gujarat
ગુજરાત

કચ્છના મીની તરણેતર જખ્ખ બૌંતેરા ભાતીગળ મેળાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ...

કચ્છના લોકોએ ભૂકંપની વેદનામાંથી ફરી બેઠા થવા સાથે ઉત્સવો, મેળાઓની ઉજવણીથી જનજીવનને ધબકતું કર્યું છે

X

મીની તરણેતર એવા ભાતીગળ મેળાનો કરાયો શુભારંભ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત

સાયંરાના ભાતીગળ લોકમેળાને માણવા જનમેદની ઉમટી

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સાયંરા(યક્ષ) ખાતે સૌથી મોટા અને મીની તરણેતર યક્ષ બૌંતેરા ક્કડભીટના 1,282મી વખત યોજાઈ રહેલા ભાતીગળ મેળાનો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિધિવત રીતે શુભારંભ કરવામાં આવ્યો હતો.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કચ્છના મીની તરણેતર જખ્ખ બૌંતેરા ભાતીગળ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે મેળાને માણવા પધારેલી જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છને પ્રવાસનનું તોરણ બનાવી વર્લ્ડ ટૂરિઝમ મેપ ઉપર કચ્છનો રણોત્સવ અને કચ્છની લોક સંસ્કૃતિ તેમજ વિવિધ સ્થળોનું મહત્વ પ્રસ્થાપિત કર્યું છે. આથી જ કહેવાય છે કે, “કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા”. મુખ્યમંત્રીએ આ પ્રસંગે વધુમાં ઉમેર્યું કે, યક્ષનો મેળો, માતાનો મઢ, હાજીપીર, કોટેશ્વર, રવેચી, જેસલ-તોરલ સમાધિ, નારાયણ સરોવર અને લખપત ગુરુદ્વારા જેવા ધાર્મિક-ઐતિહાસિક સ્થાનકો કચ્છની આગવી લોક સંસ્કૃતિના ધબકાર છે.

કચ્છના લોકોએ ભૂકંપની વેદનામાંથી ફરી બેઠા થવા સાથે ઉત્સવો, મેળાઓની ઉજવણીથી જનજીવનને ધબકતું કર્યું છે. આ લોકપ્રિય યક્ષ મેળોનો શુભારંભ કરાવવાનો અવસર પ્રાપ્ત થયો તે બદલ મુખ્યમંત્રીએ જાહેર આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ ભાવના પટેલ, મેળા સમિતિ અધ્યક્ષ ધીરુ પટેલ, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહીર, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, પંકજ મહેતા, જિલ્લા કલેકટર અમિત અરોરા, પ્રાંત અધિકારી ડૉ. મેહુલ બરાસરા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story