-
ભુજના 477માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાય
-
ભુજના દરબાર ગઢ ખાતે ખીલી પૂજન કરવામાં આવ્યું
-
રાજ પરિવાર, સાંસદ અને પાલિકાના સભ્યોની ઉપસ્થિતિ
-
લાખો ભુજવાસીએ પોતાના જન્મદિવસ તરીકે ઉજવણી કરી
-
ભુજ મહાનગરપાલિકા નિયુક્ત થાય તેવી લોકોની માંગણી
કચ્છ જિલ્લાના ભુજના દરબાર ગઢ ખાતે રાજ પરિવાર, કચ્છના સાંસદ અને ભુજ પાલિકાના નગરસેવકો દ્વારા ખીલી પૂજન કરી ભુજના 477માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
''અઢી કાંગરા, એક કટારી, પાંચ નાકા ને છઠ્ઠીબારી,,, ત્રણ આરા, ચોથી પાવડી, બજાર વચ્ચે કરી ચાવડી...'' આ પંક્તિનું કચ્છ જિલ્લાના ભુજ માટે વર્ણન કરાયું છે. કચ્છ જિલ્લાનું ભુજ કે, જે અગાઉ માત્ર 5 કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરેલું હતું, જે આજે તેના 477માં સ્થાપના દિવસે 56 ચોરસ કિલોમીટરમાં વિસ્તરી ગયું છે. ઉલ્લેખનીય છે કે, ભુજમાં 18 રાજવીઓએ રાજ કર્યું હતું. 1948માં કચ્છ ભારત સંઘ સાથે ભળ્યું હતું. ત્યારબાદ ભુજને જિલ્લાનું વડું મથક જાહેર કરવામાં આવ્યું હતું. ભુજના સ્થાપના દિવસે શહેરને મહાનગર પાલિકા નિયુક્ત થાય તેવી નગરજનોએ લાગણી દર્શાવી હતી.
અગાઉ પાંચ નાકા અને છઠ્ઠીબારીમાં ભુજનો વિસ્તાર લેખાતો હતો. પરંતુ હવે શહેરની બહાર અનેક વિકાસ થઈ ગયો છે. ચારે તરફ વિકસતા વિસ્તારના કારણે ભુજનું સ્થાન લોકોના હૃદયમાં પણ અંકિત થયું છે. ઇતિહાસકારોના જણાવ્યા મુજબ રાજાશાહી વખતમાં અહીં ટંકશાળ હતી, અને રાજ્યમાં 562 રજવાડા પૈકી 13 રજવાડાંઓને જ સિક્કા બહાર પાડવાની મંજૂરી હતી. જેમાં કચ્છના રાજ પરિવાર દ્વારા પણ સિક્કાઓ બહાર પાડવામાં આવતા હતા. આજથી 300 વર્ષ અગાઉ દરબાર ગઢની બહાર જુની ટંકશાળ હતી, ત્યાં કચ્છરાજનું ચલણી નાણું છપાતું હતું. એક સદી પહેલાં મહાદેવ નાકાં પાસે નવી ટંકશાળ શરૂ કરવામાં આવી હતી, પછી ત્યાં મામલતદાર ઓફિસ અને તિજોરી કચેરી બેસતી જ્યાં હાલમાં બોર્ડર વીંગની કચેરી અને પેન્શનર્સ એશોશિયેશનની ઓફિસ આવેલી છે.
ભુજ શહેરની સ્થાપના કરનારા રાવખેંગારજી પહેલાથી લઈને મહારાવ મદનસિંહ સહિત રાજવીઓએ ભુજમાં આવેલ દરબાર ગઢને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યુ હતું. રાજાશાહી સમયના ભુજ શહેર અને આજના ભુજ શહેરમાં મોટો બદલાવ આવી ગયો છે. આજે ભુજ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ભુજની સ્થાપના લઈને અત્યાર સુધીમાં ભુજે અનેક કુદરતી આપતીનો સામનો કર્યો છે. ભૂકંપ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતનો ભુજ સામનો કરી ચુક્યો છે. જેમાં 2001માં કચ્છના આવેલ વિનાશકારી ભૂંકપમાં ભુજમાં પણ મોટી ખુમારી થઈ હતી.
એક સમયે એવું લાગી રહ્યું હતું કે, હવે ભુજ ક્યારેય પણ બેઠું નહિ થાય. પણ ભુજ આજે કચ્છના પાટનગર તરીકે ઓળખાઈ રહ્યું છે, ત્યારે દર વર્ષની રાજાશાહી પરંપરા પ્રમાણે ભુજના પ્રથમ નાગરિક એટલે કે, ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મી સોલંકી દ્વારા પ્રાગ મહેલ ખાતે ભુજની ખીલી જ્યાં ખોડાઈ હતી, ત્યાં ખીલી પૂજન કરવામાં આવ્યું હતું. આજનો દિવસ લાખો ભુજવાસીઓ પોતાનો જન્મદિવસ હોય તેવી રીતે મનાવી રહ્યા છે, ત્યારે આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડા, રાજવી પરિવારના કુંવર ઇન્દુભા જાડેજા સહિતના સભ્યો, ભુજ પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.