કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભીમાસર રેલવે સ્ટેશન ખાતે રાત્રે શ્રમજીવી પરિવાર પસાર થઈ રહ્યો હતો. ત્યારે પરિવારના સભ્યો અચાનક કચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે ચડી જતા અકસ્માતનો ભોગ બન્યા હતા. જેથી પતિની નજર સામે પત્ની અને બે પુત્રોના મોત થયા હતા.
ગાંધીધામથી નીકળેલી મુંબઈ જતી કચ્છ એક્સપ્રેસ ટ્રેન ભચાઉ તરફ આગળ વધી રહી હતી. તે જ સમયે રેલવે ટ્રેકને ઓળંગી રહેલા પરિવારના સભ્યો ધસમસતી ટ્રેનની હડફેટે ચડી જતા ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં પતિની નજર સામે જ પત્ની અને બે પુત્રોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.બનાવના પગલે રેલવે સ્ટાફ સહિતના લોકો પરિવારની મદદે દોડી ગયા હતા અને ગાંધીધામ પોલીસને જાણ કરી હતી.
જાણવા મળ્યા મુજબ અંજાર પાસેની વેલસ્પન કંપનીમાં શ્રમકાર્ય કરતુ દંપતી ગત રાત્રે બનાસકાંઠાના દિયોદર તાલુકાના લવાણા ગામેથી પાલનપુરવાળી ટ્રેનથી પરત ફર્યું હતું અને ભીમાસર રેલવે સ્ટેશન પર ઉતર્યું હતું. પ્લેટફોર્મ ઉતરી શ્રમજીવી પરિવાર સામે તરફ જવા ટ્રેક ઓળંગતો હતો, ત્યારે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ ઘટના બની હતી.
સર્જાયેલી ઘટનામાં 30 વર્ષીય જનતાબેન જગતાભાઈ વાલ્મિકી, 9 વર્ષનો પુત્ર મહેશ અને માતા પાસે રહેલા બે માસના પુત્ર પ્રિન્સનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓના કારણે મૃત્યુ થયું હતું, જ્યારે આગળ ચાલતા પતિનો ચમત્કારિક બચાવ થયો હતો.