પૂજ્ય દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી
ગત તા. 3 નવેમ્બર-2025’ના રોજ મહોત્સવનો શુભારંભ કરાયો
મહોત્સવના દ્વિતીય દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
સીમંધર સ્વામી અને દાદા ભગવાનની આરતી અને પૂજન કરાયું
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ સૌના કલ્યાણની કામના કરી
મોરબી ખાતે આયોજિત પૂજ્ય દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. આ અવસરે મુખ્યમંત્રીએ સત્સંગ-પ્રાથનામાં ઉપસ્થિત રહી આત્મજ્ઞાની દીપકભાઈએ આપેલ આત્મજ્ઞાનનું પ્રવચન શ્રવણ કર્યું હતું.
દાદા ભગવાનનો જન્મ તા. 7 નવેમ્બર 1908’ના રોજ વડોદરા નજીક આવેલ તરસાલી ગામમાં થયો હતો. તેઓનું મૂળ નામ અંબાલાલ મૂળજીભાઈ પટેલ જે ગુજરાત, ભારતના એક આધ્યાત્મિક ગુરુ હતા. તેઓને 'દાદાશ્રી' તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારે મોરબીમાં આગામી તા. 9 નવેમ્બર-2025’ સુધી દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે તા. 3 નવેમ્બર-2025ના રોજ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ આયોજનના દ્વિતીય દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં સત્સંગ યોજાયો હતો. મુખ્યમંત્રી તેમજ દીપકભાઈએ આ તકે સીમંધર સ્વામી તેમજ દાદા ભગવાનનું પૂજન-અર્ચન, આરતી ઉતારી સૌના કલ્યાણની કામના કરી હતી. આ તકે મુખ્યમંત્રીએ આત્મજ્ઞાની દીપકભાઈને હાર પહેરાવી તેમના આશીર્વાદ લીધા હતા.
દીપકભાઈએ મુખ્યમંત્રીને દાદા ભગવાનના જીવન પર આધારિત જ્ઞાની પુરુષ પુસ્તક ભાગ-6 અર્પણ કર્યું હતું. વધુમાં આત્મજ્ઞાની દીપકભાઈએ આત્મા વગરના શરીર, કર્મ, કર્તાની ભાવના, દુનિયાના દુખોથી મુક્તિ, શુધ્ધ આત્મા, માનવ અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ, (એઆઈ) ક્ષણે ક્ષણે જાગૃતિની ભાવના કેળવવા સહિત જ્ઞાનની પ્રેરક વાતો આ સત્સંગમાં કરી હતી. આ પ્રસંગે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, મેઘજી ચાવડા, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, પૂર્વ સાંસદ મોહન કુંડારીયા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસા પારેઘી, જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરી, મોરબી મહાનગર પાલિકા કમિશ્નર સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, અગ્રણી જયંતી રાજકોટિયા સહિત વિશાળ સંખ્યામાં દાદા ભગવાનના અનુયાયીઓ તથા મોરબીવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.