-
આયુર્વેદિક સારવાર સાથે એલોપેથિકની ટ્રીટમેન્ટ
-
આયુર્વેદિક ડોક્ટર કરતો હતો એલોપેથિકની સારવાર
-
પંચગવ્ય અને નેચરોપેથીની આડમાં ચાલતું હતું દવાખાનું
-
છ બેડની એલોપેથિક હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી
-
પોલીસે કરી આરોપી ડોક્ટરની અટકાયત
નવસારીના સાતેમ ગામે ઘરમાં શિવ આયુર્વેદિક હોસ્પિટલ ચલાવી, પંચગવ્ય અને નેચરોપેથી સારવાર આપવામાં આવતી હોવાની આડમાં બિન્દાસ એલોપેથીક હોસ્પિટલ ચાલતી હોવાની મળેલી બાતમીને આધારે SOG પોલીસની ટીમે ગત મોડી રાતે સાતેમ ગામે શિવ આયુર્વેદિક હોસ્પિટલમાં છાપો માર્યો હતો. છાપો મારતા જ જિલ્લા આરોગ્ય વિભાગના ડોક્ટર સાથે પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ હોસ્પિટલમાં 7 બેડ રાખવામાં આવ્યા હતા, જેમાં દાખલ દર્દીઓને એલોપેથીક સારવાર આપવામાં આવી હતી.
દર્દીઓને ગ્લુકોઝ તેમજ અન્ય ઇન્જેક્શનના બોટલો ચઢાવવામાં આવ્યા હતા. સાથે જ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં એલોપેથીક દવાઓ પણ મળી આવી હતી. જેથી પોલીસે આયુર્વેદિક હોસ્પિટલ ચલાવતા બોગસ ડો.નટવરગીરી ગોસ્વામીની પૂછપરછ કરતા તેમની પાસે સરકાર માન્ય એલોપેથીક પ્રેક્ટિસ કરવાની કોઈ ડિગ્રી ન હતી. સાથે જ હોસ્પિટલ ચલાવવાના કોઈ દસ્તાવેજો પણ આપી શક્યો ન હતો.
હોસ્પિટલમાં ડોક્ટરોને સારવાર આપવા સાથે ઓપરેશન કે પ્રસૂતિ પણ કરાવવામાં આવતી હોય એવા સાધનો મળી આવ્યા હતા.જેથી પોલીસે ઝોલાછાપ ડો.નટવરગીરી ગોસ્વામીની ધરપકડ કરી હોસ્પિટલ માંથી દવા,બોટલો, ઇન્જેક્શન સહિત 2.69 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત હોસ્પિટલમાં વિઝીટિંગ ડોકટર તરીકે આવતા નવસારીના જાણીતા M.S. ઓર્થો. ડો. કિશોર મોદીની પણ પૂછપરછ કરી હતી. જોકે ડો. કિશોર મોદી ફક્ત મુલાકાતી ડોકટર તરીકે જતા હોવાથી પોલીસે હાલ કોઈ કાર્યવાહી કરી નથી.જ્યારે આરોપી ડો.નટવરગીરી ગોસ્વામી વિરુદ્ધ BNS અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ અધિનિયમ હેઠળ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.ઉલ્લેખનીય છે કે પોલીસે અત્યાર સુધીમાં 9 ઝોલાછાપ ડોકટરો સામે કાર્યવાહી કરી છે.