ઘોઘંબાની GFL કંપનીમાં સર્જાય હતી ગેસ લીકેજની ઘટના
2 લોકોના મોત, જ્યારે 11 કામદારોને થઈ હતી ગેસની અસર
GFL કંપનીમાં વારંવાર બનતી ગેસ લીકેજની ઘટનાનો વિરોધ
ઘોઘંબા મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવી રજૂઆત
ડેડીયાપાડા-AAPના ધારાસભ્ય ચૈતર વસાવા રહ્યા ઉપસ્થિત
કંપની સામે કડક કાર્યવાહીની ચૈતર વસાવા દ્વારા માંગ કરાય
પંચમહાલ જિલ્લાની GFL કંપનીમાં વારંવાર બનતી ગેસ લીકેજની ઘટનાના વિરોધમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આગેવાનો અને ગ્રામજનોએ ઘોઘંબા મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી કંપની સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી GFL (ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ) કંપનીમાં ગત તા. 10 સપ્ટેમ્બર-2025ના રોજ ગેસ લીકેજની ઘટના સર્જાય હતી. જેમાં 2 લોકોના કરૂણ મોત નીપજ્યાં હતા, જ્યારે 11 જેટલા કામદારોને ગેસ ગળતરની અસર થઈ હતી. ત્યારબાદ ફરી એકવાર ગત તા. 30 સપ્ટેમ્બર-2025ના રોજ ગેસ લીકેજની ઘટના બની હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ ગેસ લીકેજની ઘટનાઓને લઈને આસપાસના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તો બીજી તરફ, મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોએ GFL કંપનીના ગેટ પાસે ધરણાં સહિત વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા, ત્યારે લોકોની રજૂઆતને ગંભીરતાપૂર્વક લઈ તંત્ર દ્વારા GFL કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યાં નોટિસના ભાગરૂપે તાત્કાલિક અસરથી ગેસ ઉત્પાદક કરતા પ્લાન્ટ બંધ કરાવવામાં આવ્યા હતા.
જોકે, વારંવાર બની રહેલી ગેસ લીકેજની ઘટનાઓના વિરોધમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આગેવાનો અને ગ્રામજનોએ ઘોઘંબા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં GPCB સહિતના વિભાગ દ્વારા કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ તરફ, કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે મામલતદાર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.