હારીજના ધૂણીયા વિસ્તારમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય
ગટરના પાણી, કાદવ-કીચડની સમસ્યાથી લોકો ત્રસ્ત
ગંદકીના સામ્રાજ્ય વચ્ચે સ્મશાન યાત્રા કાઢવા મજબુરી
છેલ્લા એક વર્ષથી સ્થાનિકો દ્વારા તંત્રને કરાય રજૂઆત
સમસ્યાનો સત્વરે અંત લાવવા સ્થાનિકો દ્વારા માંગ ઉઠી
પાટણ જિલ્લાના હારીજના ધૂણીયા વિસ્તારમાં ઠેરઠેર ગંદકીના સામ્રાજ્ય વચ્ચે સ્મશાન યાત્રા કાઢવા સ્થાનિકો મજબુર બન્યા હતા, ત્યારે કાયમી ધોરણે ગટરના ઉભરાતા પાણી અને કાદવ-કીચડની સમસ્યાનો સત્વરે અંત લાવવા માંગ ઉઠી છે.
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર પાટણ જિલ્લામાં તંત્ર દ્વારા સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે હારિજના ધૂણીયા વિસ્તારમાં સ્વચ્છતાના નામે ફક્ત નાટક થતું હોય તેમ લાગી રહ્યુ છે. આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર છેલ્લા ઘણા સમયથી ઉભરાતી હોય, જેથી કલેક્ટર, મામલતદાર અને પાલિકામાં અનેકવાર રજુઆત કરવા છતાં ઉકેલ આવ્યો નથી. તેવામાં અહીના વિસ્તારમાં રહેતી એક મહિલાનું અવસાન થતાં તેમની અંતિમયાત્રામાં અસહ્ય ગંદકી અને કાદવ કિચ્ચડમાંથી કાઢવાની ફરજ પડી હતી. આવી અગવડતામાં મૃતકના પરિજનોને મહામુસીબતે ગટરના ગંદા પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવી પડી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, છેલ્લાં એક વર્ષ કરતા વધારે સમયથી ભૂગર્ભ ગટર ઉભરાય છે, તેની લેખિત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા નાછૂટકે કાદવ-કિચ્ચડમાંથી સ્મશાનયાત્રા કાઢવી પડી હતી. પાટણ નગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર તથા મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા તંત્રની ઉદાસીનતા સામે સ્થાનિકોમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો.