-
રાજ્યમાં ગુજરાત પોલીસનું સૌથી મોટું સર્ચ ઓપરેશન
-
રાજ્યમાં ઘૂસણખોરો પર પોલીસ દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક
-
અમદાવાદ-સુરતમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધરાયું
-
પોલીસ દ્વારા 1 હજારથી વધુ લોકોની અટકાયત કરાય
-
મોટાભાગના બાંગ્લાદેશીઓ પાસે બંગાળના ડોક્યુમેન્ટ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારોમાં રેડ કરી હતી.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગત તા. 22મી એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા. આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે, ત્યારે ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. ગત તા. 25 એપ્રિલની મોડીરાતથી અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારોમાં રેડ કરી હતી.
આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરીકો ઝડપાયા છે, જેમાં મોટાભાગના બાંગ્લાદેશીઓ છે. અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ, SOG, EOW, ઝોન-6 અને પોલીસ હેડ કવાર્ટરની ટીમોએ મળીને સયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સવારના 3 વાગ્યાથી ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી કુલ 890 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં 470 પુરુષ અને બાકીના મહિલાઓ અને બાળકો છે. તમામ શંકાસ્પદ લોકોને દોરડા વડે કોર્ડન કરીને ક્રાઈમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવાયા હતાં.
તો બીજી તરફ, સુરતમાં પણ પોલીસે ઘૂસણખોરોને પકડી પાડવાનું ઓપરેશન રાત્રિના 12 વાગ્યાથી સવારની 6 વાગ્યા સુધી હાથ ધર્યું હતું. સુરત પોલીસની 6 ટીમ જેમાં 2 DCP, 4 ACP અને 10 PI સહિત 100 પોલીસકર્મીઓ હતા. આ ટીમોએ શહેરના ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરા સહિતના વિસ્તારોમાં રેડ કરી 135 શંકાસ્પદ વિદેશી નાગરિકોની અટકાયત કરી હતી.
બાદમાં તમામને પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ માટે પોલીસ હેડ કવાર્ટર લઈ જવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનર કચેરીએથી રાજ્યના ડીઆઇજી સહિત જિલ્લા પોલીસ વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક યોજી પરિસ્થિતીનો ચિતાર મેળવ્યો હતો.