/connect-gujarat/media/post_banners/dcefd2d913d8da1dbe73ea8fa3720c0dd607f906096bd09d553460627198b719.jpg)
જામનગર નજીક મોટી ખાવડી પાસે આવેલ રિલાયન્સ મોલમાં ગત રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. જે આજે વહેલી સવારે 5 વાગ્યે 30થી વધુ ફાયર ફાઈટરની મદદથી કાબુમાં લેવામાં આવી હતી.
જામનગર નજીક મોટી ખાવડી પાસે આવેલ રિલાયન્સ મોલમાં ગત રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. આગની ઘટનાની જાણ થતાં જ જામનગરથી ફાયર ફાઈટરની ટીમ રવાના કરવામાં આવી હતી. જે બાદ જરૂર જણાતા અન્ય જિલ્લામાંથી પણ ફાયરની ટીમો આવી પહોંચી હતી. વિકરાળ આગ હોવાથી મોલની અંદર અને બહાર દોડધામ મચી ગઈ હતી. મોલની નજીક જ જામનગર-ખંભાળિયા હાઈવે હોવાથી ત્યા ટ્રાફિક જામ સર્જાય નહીં તે માટે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. બનાવના પગલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પણ રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા હતા. અનંત અંબાણી હાલ જામનગર જ છે, જ્યારે રિલાયન્સના વાઇસ ગ્રુપ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણી સહિતના રિલાયન્સના અનેક અધિકારીઓ ઘટનાસ્થળ પર હાજર જોવા મળ્યા હતા. તો બીજી તરફ, બનાવના પગલે જિલ્લા કલેક્ટર, એસડીએમ, જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જોકે, રિલાયન્સ મોલમાં લાગેલી ભયંકર આગ 30થી વધુ ફાયર ફાઈટર દ્વારા આજે વહેલી સવારે કાબુમાં આવી ગઈ હતી. આ સાથે જ 15થી વધુ 108 એમ્બ્યુલન્સ તથા આસપાસની કંપનીઓ તેમજ વિસ્તારોમાંથી મેડિકલ ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. આગ એટલી ભયંકર હતી કે, જે જગ્યાએ મોલ હતો તે આખો બળીને ખાખ થઈ ગયો છે. મોલમાં હવે માત્ર થોડું ફેબ્રિકેશનનો કાટમાળ જ વધ્યો છે, અને તેમાંથી પણ હજી ધૂમાડાઓ નીકળી રહ્યા છે.