-
હિંમતનગરના રાયગઢમાં શિવરાત્રીની તૈયારી
-
વૈજનાથ મહાદેવ મંદિરે શિવરાત્રી કરશે ઉજવણી
-
ગામના યુવાનોએ કાચનું 21 ફૂટ ઊંચું શિવલિંગ બનાવ્યું
-
શિવરાત્રીના દિવસે ભક્તો કરશે તેજોમય શિવલિંગના દર્શન
-
10 થી વધુ શિવસ્વરૂપ બનાવવામાં આવ્યા
સાબરકાંઠાના હિંમતનગરના રાયગઢમાં વૈજનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં શિવરાત્રી નિમિત્તે કાચનું 21 ફૂટ ઊંચું તેજોમય શિવલિંગનુ નિર્માણ કરાયુ છે.જે શિવરાત્રીના રોજ ભક્તિ માટે દર્શન અર્થે ખુલ્લું મુકવામાં આવશે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપ સાગરની તળેટીમાં આવેલા સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે શિવરાત્રી અને શ્રાવણ માસમાં અનેક વિધ શિવલિંગનુ નિર્માણ કરવામાં આવે છે,ત્યારે આ મહાશિવરાત્રીએ 21 ફૂટ ઊંચું કાચનુ તેજોમય શિવલિંગ ગામના યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યુ છે.જે શિવરાત્રીના દિવસે વહેલી સવારથી જ દર્શનાર્થે ખુલ્લુ મુકવામાં આવશે અને આ સાથે 10થી વધુ વિવિધ શિવ સ્વરૂપ બનાવવામાં આવી રહ્યા છે.
દર શિવરાત્રી નારિયેળ, રુદ્રાક્ષ, ભસ્મ, ઘી, બરફ સહિતના શિવલિંગ બનાવવામાં આવતા હોય છે તો બાબા બર્ફાની અને અમરનાથ જેવુ ગુફાઓ પણ બનાવવામાં આવે છે.પરંતુ આ વખતે અલગ જ 1 થી 2 લાખ જેટલા કાચના ટુકડા માંથી છેલ્લા દોઢ માસથી આ તેજોમય શિવલિંગ બનાવવામાં આવી રહ્યુ છે.તો સાથે ચણાના લોટથી વિવિધ શિવ સ્વરૂપ પણ બનાવવામાં આવી રહ્યા છે. જે મહાશિવરાત્રીના રોજ ખુલ્લુ મુકવામાં આવશે.ખાસ કરીને ભક્તોને દર્શન કરવા માટે કોઈ અગવડ ન પડે તે પ્રકારે ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સાથે રાત્રી દરમિયાન મહાઆરતી અને તેજોમય શિવલિંગ પર લાઈટ શો પણ કરવામાં આવશે સાથે ભક્તો માટે ફલાહારનુ આયોજન પણ યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે.