-
સિવિલ હોસ્પિટલની બહાર ઉભરાયા ગટરના પાણી
-
બે વર્ષથી આ સમસ્યાથી કંટાળેલી મહિલાઓ બની રણચંડી
-
દુર્ગંધ મારતા પાણીથી સોસાયટીના રહીશો પરેશાન
-
સિવિલના લોકો જ અહીં પાણી ઠાલવી રહ્યા હોવાનો આક્ષેપ
-
પાણી ઉભરાતું બંધ થાય એવી સ્થાનિકોએ કરી માંગ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલ સામે ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો પરેશાન થઇ ગયા છે.પાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે,અનેક રજૂઆત કરવા છતાં પણ પરિણામ ન મળતા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
સાબરકાંઠાના હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલની સામે ગટરના પાણીની સમસ્યાને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ મામલે સ્થાનિક મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ જો સમસ્યાનું નિવારણ નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.પાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો.શહેરના મોતીપુરા વિસ્તારમાં નવી સિવિલ હોસ્પિટલની સામે ગટરના પાણી ઉભરાતા હોવાના કારણે સ્થાનિક વેપારીઓ તેમજ અહીંયા વસવાટ કરતા લોકો પરેશાન બની ચૂક્યા છે. એટલું જ નહીં પરંતુ અહીંથી પસાર થતાં લોકો પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.સિવિલની ગટરોનું પાણી સીધું જ બહાર આવતું હોવાનું અને સિવિલના લોકો જ અહીં પાણી ઠાલવી રહ્યા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. અહીંયા દૂષિત અને દુર્ગંધ મારતા પાણીથી સોસાયટી રહિશો સહિત વેપારીઓ અને અવરજવર કરતા લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તો સ્થાનિકો બીમારીનો ભોગ બની રહ્યા છે.
ઉભરાતી ગટરની સમય સામે આ મહિલાઓ એકત્રિત થઈ વિરોધ ઠાલવી રહી છે.અને બે સોસાયટીઓ અને સામે દુકાનદારો સહિત ખાણીપીણીની દુકાનોમાં ગ્રાહકો પ્રતિદિન આવતા હોય છે અને તેઓ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી આ ગંદકી મામલે સ્થાનિકો દ્વારા હડિયોલ પંચાયત, હિંમતનગર નગરપાલિકામાં અનેકવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો ન આવતો હોવાને લઇ પાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે.