![સુરત : ડમીકાંડ મુદ્દે હવે યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલની પણ ધરપકડ, રૂપિયા લેવાનો થયો છે આક્ષેપ...](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/8e4c509d98bd5c9926277f1c89aaef55032831c8ea3c5d654acadff10c79133b.jpg)
ડમી કાંડ મામલે ગઈકાલે યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કર્યા બાદ હવે યુવરાજસિંહના સાળાની SOGની ટીમે સુરતથી ધરપકડ કરી છે. ડમીકાંડ મુદ્દે યુવરાજસિંહના સાળા કાનભા વિરુદ્ધ રૂપિયા લેવાનો આક્ષેપ થયો છે.
ડમીકાંડ મામલે ભાવનગર SOG દ્વારા યુવરાજસિંહની 10 કલાક જેટલી લાંબી પૂછપરછ કર્યા બાદ તેમની અને અન્ય લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, ત્યારે આ મામલે યુવરાજસિંહના સાળા કાનભાની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. SOGની ટીમે કાનભા ગોહિલ ઉર્ફે કૃષ્ણદેવ સિંહની ધરપકડ કરી છે. આ અગાઉ યુવરાજસિંહ પર ભાવનગરના બિપિન ત્રિવેદીએ ડમી કાંડમાં સામેલ લોકોના નામ ન લેવા અંગે રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે ભાવનગર રેન્જ IGએ જણાવ્યુ હતું કે, ડમી કાંડ મુદ્દે યુવરાજસિંહ સામે હવે ખંડણી સહિતની કલમો હેઠળ ભાવનગર ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. યુવરાજસિંહની ગઈકાલે મોડી રાત્રે 1 વગ્યાની આસપાસ ભાવનગર એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે નિલમબાગ પોલીસે યુવરાજસિંહને લઈ કોર્ટ જવા રવાના થઈ છે. ડમીકાંડ મામલે SITની રચના કરીને તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, આ મામલે યુવરાજસિંહ દ્વારા 36 નામ જાહેર કર્યા હતા.