થાનગઢ તાલુકાના જામવાળી વિસ્તારમાં તંત્રના દરોડા
SDM અને અધિકારીઓના 5 ગેરકાયદે ખાણો પર દરોડા
રૂ. 15 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો
ખનિજ માફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાય
સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના જામવાળી વિસ્તારમાં વહીવટી તંત્રએ 5 જેટલી ગેરકાયદેસર ખાણો પર દરોડા પાડ્યા હતા. જેમાં રૂ. 15 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી ખનિજ માફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ ચોરી અટકવાનું નામ નથી લઈ રહી, વધુ એક ગેરકાયદે ખનન સામે આવ્યું છે. થાનગઢ તાલુકાના જામવાળી વિસ્તારમાં ગેરકાયદેસર કોલસા ખનન પર નાયબ કલેક્ટર અને મામલતદારની સંયુક્ત ટીમે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 5 કાર્બોસેલના કૂવાઓ ચાલુ હાલતમાં મળી આવ્યા હતા. આ કૂવાઓ પરથી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં એક ટ્રેક્ટર, 2 કમ્પ્રેશન મશીન, 40 મેટ્રિક ટન કાર્બોસેલ, 5 ચરખીઓ, 3 બકેટ અને એક બાઈક મળી રૂ. 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલો મુદ્દામાલ થાનગઢ મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે. ગેરકાયદેસર કાર્બોસેલ ખનન કરતા ઈસમો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાઓ કોના દ્વારા ખોદવામાં આવ્યા હતા, તે અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.