વલસાડ : અંભેટી કાંપરિયા પ્રાથમિક શાળા ખાતેથી રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો શાળા પ્રવેશોત્સવ
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના તા. ૨૪ મી જૂનના બીજા દિવસે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી પ્રાથમિક શાળા ખાતે રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુ દેસાઇએ શાળાના ૧૦ કુમાર અને ૦૬ કન્યા મળી કુલ ૧૬ પ્રવેશપાત્ર બાળકોનો તેમજ આંગણવાડીના ૦૨ બાળકોનો પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજયનો દરેક બાળક શિક્ષિત બને અને સમાજમાં સ્વામાનભેર જીવી શકે તે હેતુસર વર્ષઃ ૨૦૦૨-૦૩થી કન્યા કેળવણી અને શાળા પ્રવશોત્સવની શરૂઆત કરી હતી. આ શિક્ષણદીપના યજ્ઞમાં સ્વયં તેઓએ ભાગ લઇને સમગ્ર ગુજરાતને પ્રેરણા આપી છે. કોરોના કાળના બે વર્ષ બાદ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્ત્વમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે એમ મંત્રીએ જણાવ્યું હતું. આ તબક્કે મંત્રીએ શાળાના નિવૃત્ત આચાર્ય પરાગ પટેલ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ઓ.એન.જી.સી. કંપની મુંબઇના જનરલ મેનેજર તરીકે હાલમાં જ નિવૃત્ત થયેલા ગામના ચંદુ પટેલનું સન્માન કર્યુ હતું.