-
કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે નુકશાન
-
ખેતી-બાગાયત પાકને માવઠાએ પહોચાડ્યું નુકશાન
-
બાગાયત વિભાગ-ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે શરૂ
-
કેરીના પાકને વધુ નુકશાન થયું હોવાનું સામે આવ્યું
-
અસરગ્રસ્તોને વળતર ચૂકવવાના પ્રયાસો હાથ ધરાશે
વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતી તેમજ બાગાયત પાકને ભારે નુકશાન થયું છે, ત્યારે વલસાડ જિલ્લા બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે શરૂ કરાયો છે. જેમાં કેરીના પાકને વધુ નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.
વલસાડ જિલ્લામાં સૌથી વધુ ખેડૂતો આંબાવાડી ઉપર નભતા રહે છે. જિલ્લામાં 38 હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ આંબાવાડી તૈયાર કરી છે. હાલ આંબાવાડીઓમાં કેરીનો પાક તૈયાર થઈ રહ્યો હતો, જ્યાં ભારે પવન અને કમોસમી વરસાદને લઈને આંબા પરથી કેરીઓ ખરી પડી હતી, જ્યારે શાકભાજી, ડાંગર સહિત શેરડી તૈયાર પાકમાં પણ વરસાદના કારણે નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. વલસાડ જિલ્લા કલેક્ટરના આદેશ બાદ બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે શરૂ કરાયો છે. જિલ્લામાં 16 અલગ અલગ ટીમો દ્વારા 80 ટકા સર્વે પૂર્ણ કરાયો છે. કેરીમાં અંદાજિત 7 હજારથી વધુ હેક્ટરમાં નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.
તો બીજી તરફ, ખેતી-પાકની વાત કરીએ તો શેરડી, ભીંડા, તુવેર અને અન્ય લીલોતરી શાકભાજીમાં વાવાઝોડાના કારણે નુકશાન થયું છે. હાલ 15થી 20 હેક્ટરમાં મોટું નુકશાન થયું હોવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. ખાસ કરીને ધરમપુર અને કપરાડા સહિત 20 ગામોની આંબાવાડીમાં નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. ખેતીવાડી અધિકારીએ જણાવ્યુ હતું કે, બંને વિભાગો દ્વારા સર્વે પૂર્ણ થયા બાદ નુકશાની અંગેનો રિપોર્ટ સરકારમાં મોકલવામાં આવશે, અને ત્યારબાદ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે.