અરવિંદ કેજરીવાલ માટે વધુ એક મુશ્કેલી, દિલ્હીમાં CBIની પૂછપરછ વચ્ચે ગુજરાત કોર્ટે મોકલ્યું સમન્સ
એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં સીબીઆઈ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી રહી છે.
એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં સીબીઆઈ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન કેજરીવાલ માટે વધુ એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. અમદાવાદની એક કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહને અપરાધિક માનહાનિની ફરિયાદમાં સમન્સ જારી કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીને લઈને ગુજરાત યુનિવર્સિટી વિરુદ્ધ કટાક્ષભર્યા નિવેદનો કરવા બદલ બંને નેતાઓ સામે ફરિયાદ થઈ છે.
એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયેશભાઈ ચોવટિયાની કોર્ટે શનિવારે બંને AAP નેતાઓને 23 મેના રોજ સમન્સ પાઠવ્યા હતા. ન્યાયાધીશે જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતાની કલમ 500 (બદનક્ષી) હેઠળ ગુજરાત યુનિવર્સિટીની ફરિયાદ પર પ્રાથમિક દૃષ્ટિએ તેમની સામે કેસ હોવાનું જણાય છે.
કેજરીવાલ અને સિંહે આ ટિપ્પણી ગુજરાત યુનિવર્સિટી (GU)ને પીએમ મોદીની ડિગ્રી વિશે માહિતી પ્રદાન કરવા માટેના મુખ્ય માહિતી કમિશનરના આદેશને ગુજરાત હાઇકોર્ટે રદ કરવાનો આદેશ આપ્યા પછી કરી હતી. ફરિયાદી અનુસાર, બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં અને ટ્વિટર હેન્ડલ્સ પર મોદીની ડિગ્રીને લઈને યુનિવર્સિટીને નિશાન બનાવીને "અપમાનજનક" નિવેદનો કર્યા હતા.