/connect-gujarat/media/media_files/2024/12/05/EYxjJ9xdOiS1zokjhk9z.jpg)
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ મુખ્યમંત્રીને લઈને ઉભી થયેલી ગૂંચવણનું કોકડું આખરે ઉકેલાઈ ગયું છે,અને CM અને બે ડેપ્યુટી CM રાજ્યને મળ્યા છે. રાજધાની મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત ભવ્ય શપથ સમારોહમાં રાજ્યપાલ સી.પી રાધાકૃષ્ણને ભાજપ ધારાસભ્ય દળના નેતા અને દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા.આ સાથે દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે.
ફડણવીસ બાદ એકનાથ શિંદેએ પણ ડેપ્યુટી સીએમના પદના શપથ લીધા હતા. શિંદે ઘણા દિવસથી નારાજ હતા કારણ કે તેમણે ગૃહ મંત્રાલય સાથે ડેપ્યુટી સીએમનો હોદ્દો માંગ્યો હતો. શિંદે બાદ અજિત પવારે પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા.
ફડણવીસના શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, જે પી નડ્ડા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
આ શપથ સમારોહમાં શાહરુખ ખાન, સલમાન ખાન, સંજય દત્ત, સચિન તેંડુલકર સહિતના સેલિબ્રિટી પણ ઉપસ્થિત રહ્યા હતા.જયારે ઉદ્યોગપતિઓમાં મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી અને કુમાર મંગલમ બિરલા હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે NCPના સુપ્રીમો શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ફડણવીસની શપથવિધિમાં હાજર રહ્યા નહોતા.